ગુજરાતભરમાં વિદ્યાર્થીઓના ખભા પર રહેલા ભણતરના ભારને દુર કરવા માટેના કાયદાઓ આજથી લાગુ થઈ ગયા છે. ભાર વિનાની ભણતર અંતર્ગત તૈયાર કરાયેલી પોલીસ ચાર અલગ અલગ એક્શન પ્લાન પર લાગુ થઈ છે. જેમાં ખાનગી પબ્લિશર્સના ગાઈડ કે પુસ્તક સ્કૂલમાં લાવવા ગેરકાયદે બનશે.
આગામી સત્રથી બે અલગ-અલગ તબક્કામાં પુસ્તકો છપાશે. અત્યારે સુધી એક દિવસમાં શાળામાં 8 પિરીયડ લેવાતા હતા. તેની જગ્યાએ રોજ માત્ર 4 વિષયના બબ્બે પિરીયડ લેવાશે તેવો પણ નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓને હોમ વર્ક પણ એનસીઈઆરટીની ગાઈડ લાઈન પ્રમાણે જઆપવામાં આવશે તેમ નક્કી થયું છે.
અગાઉ પણ સરકારે સ્કૂલના બાળકોની બૅગના વજનને લઈને એક નવી ગાઈડલાઈન તૈયાર કરી હતી. ધોરણ 1થી 10 સુધીના બાળકોની બૅગનું વજન ઓછું કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દેશની તમામ સ્કૂલોમાં ભણતા ધો.૧થી૧૦ના બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નિશ્ચિત કર્યુ છે અને આ સાથેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ કર્યો છે. જે મુજબ સ્કૂલોએ એ રીતે વિષયવાર પુસ્તકોની પદ્ધતિ ગોઠવવાની રહેશે કે ધો.૧થી૭માં ૧.૫થી ૪ કિલો સુધીનું જ અને ધો.૮થી૧૦ના બાળકો માટે ૪થી૫ કિલો સુધીનું જ સ્કૂલ બેગનું વજન રહે. પુસ્તકો સાથેની સ્કૂલ બેગનુ વજન આ નક્કી કર્યા પ્રમાણેના વજન કરતા વધવું ન જોઈએ. અા અંતર્ગત ગુજરાત સરકાર આ બાબતે કડક નિયમો દાખલ કરે તેવી સંભાવના છે. કેન્દ્રના આદેશ મુજબ ગુજરાત સરકાર દેશમાં અા નિયમનો પ્રથમ અમલ કરશે. ગુજરાત સરકાર નાના બાળકોના હિતમાં મોટો નિર્ણય લે તેવી સંભાવના છે.