ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવરમાં (Sardar Sarovar) પાણીની આવકમાં વધારો થતાં ડેમમાંથી દોઢ થી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનું નક્કી કરાતા નર્મદામાં પુરની સ્થિતિ ઉભી થવાની સંભાવનાને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્રએ નદી કિનારાના 17 જેટલા ગામોને એલર્ટ (Village Alert) કરાયા છે. જ્યારે જિલ્લાના ત્રણ તાલુકાના ૨૮ ગામોને એલર્ટ કરાયા માછીમારીને નદીમાં મચ્છીમારી કરવા ન જવા માટે પણ સૂચનાઓ અપાઈ છે.ભરૂચ ડિઝાસ્ટર વિભાગના (Bharuch Disaster Management Department) સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર 30 ઓગષ્ટ સુધીમાં જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી છે. સાથે જ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી (Narmada Dam) દોઢથી ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાની કવાયત હાથ ધરાવવાની છે. જેના પગલે નર્મદા નદીમાં પુરની સ્થિતિ ઉભી થવાની સંભાવનાને લઈ વહીવટી તંત્ર સતર્ક છે.
શુક્રવારની સાંજ સુધી ભરૂચમાં ગોલ્ડન બ્રિજ ખાતે. નર્મદાની જળ સપાટી 12.25 ફૂટ હતી. પરંતુ સરદાર ડેમ માંથી દોઢ થઈ ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાય તો નર્મદાની જળ સપાટી વધવાની સંભાવનાને લઈ તંત્રએ માછીમારોને માચ્છીમારી કરવા નર્મદા નદીમાં ન જવાની સૂચના આપવા સાથે કિનારાના 17 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. જેમાં અંકલેશ્વર તાલુકાના ૮, ઝઘડિયા તાલુકાના ૯ ગામોનો સમાવેશ થાય છે. સાથે જ઼ ભરૂચ તાલુકાના જુના તવરા, નવા તવરા, મંગલેશ્વર, નિકોરા, દશાન બેટ તેમજ શહેરના કસક અને ગોલ્ડન બ્રિજ ઝુંપડપટ્ટી, દાંડિયા બજાર, લાલબજાર, નવચોકી, ફુરજા, વેજલપુર, મક્તમપુર જેવા નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે હાલ સરદાર ડેમના 10 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડાયું છે.. હજી મધ્યપ્રદેશના ડેમ માંથી 75 ક્યુસેક પાણી છોડાયું છે જેની આવક થતા વધુ 1.50 લાખ થી 3 લાખ પાણી છોડાય તેવી સંભાવના છે.
વીજ મથક ધમધમતું થયું
રાજપીપળા: નર્મદા બંધ સપાટીમાં છેલ્લા 8 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. હાલ ડેમના દરવાજા પર 10 મીટર સુધી પાણી ભરાઈ ગયું છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા વીજ મથક ધમધમતું થયું છે. 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે. વીજ મથકો ચાલતા નર્મદા નદીમા 40,136 ક્યુસેક પાણી ઠલવાતા નર્મદા નદીનું મુખ્ય વહેણ બન્ને કાંઠે વહી રહ્યું છે. ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે. હાલમાં ઉપરવાસમાંથી 1 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે જેથી હાલની નર્મદા ડેમની જળ સપાટી 131.01 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 85,390 ક્યુસેક થઈ છે. હાલ નર્મદા ડેમના 10 ગેટ ખોલી 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામોને સહિત વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામો સાવધ કરી દેવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમમાં 2200 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે. અને ગુજરાત માટે કેનાલમાં 6000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા ડેમ સક્ષમ છે.