પંચમહાલના શહેરાના પટિયા પરા વિસ્તારમાં પ્રેમી પંખીડાઓએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. સમાજમાં બન્નેના પ્રેમ સબંધને જાકારો આપવામાં આવશે તે ડરના કારણે તેમણે જીવન ટુકાવ્યુ છે.
શહેરા નગર પાલિકામાં આવેલા પરા વિસ્તારના પટિયા કે જયાં મધુબેન સોમાભાઈ પગી પોતાના પરિવાર સાથે રહે છે. મોટી પુત્રી મનીષાના લગ્ન આજ થી પાંચ (૫) વર્ષ પહેલા જ્ઞાતિના રીતરિવાજ અનુસાર શહેરા તાલુકાના મીઠાપુર ગામે થયા હતા જ્યા અમુક કારણોસર મનિશાનો લગ્ન સંસાર સારો ન ચાલતા છૂટાછેડા લીધા હતાં અને પોતાના પિયર પટિયા આવી ગઈ હતી જ્યા ફળિયામાંજ રહેતા અને કૌટુંબિક રીતે સબંધી થતા અનુપ રમણભાઈ પગી સાથે આંખ મળી જતા પરિવારજનોની જાણ બહાર પ્રેમ પાંગરવા લાગ્યો હતો.
જેના પરિણામ સ્વરૂપ બંન્ને પ્રેમીપંખીડાઓ ભાગી ગયા હતા અને 15 દિવસ પછી પાછા લઈ આવ્યા હતા અને સમાજના પંચરાહે સમાધાન પણ કર્યું હતું તેમ છતાં જીવવા અને મરવા ના કોલ આપી ચૂકેલા આ પ્રેમીપંખીડાઓ વચ્ચે પ્રેમ પાંગરતો જ રહ્યો.પ્રેમમિલન માં અવરોધરૂપ કોઈ પણ કારણ હોય પણ મંગળવારની રાત્રીએ મનીષા અને તેનો પરિવાર રાત્રે જમીને સુઈ ગયો હતો સવારે ઉઠી મનિશાની માતાએ ખાટલામાં જોતાં મનીષા જોવા મળી ન હતી તેઓ એવું સમજ્યા કે કદાચ તેણી કુદરતી હાજતે ગઈ હશે અને લગભગ સવારના 8 વાગ્યે અન્ય લોકો પણ કુદરતી હાજતે જતા ખેતરના ખૂણામાં આવેલા આંબાના ઝાડ પર મનીષા અને અનુપ બંન્ને ગળે દોરી બાંધી સામસામે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં લોકોની બૂમાબૂમ સાંભળી મૃતક મનીષાના પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ગળાફાંસો ખાધેલી હાલતમાં પોતાની પુત્રીને જોતા હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા.
પોલીસને ઘટનાની જાણ થતા ઇન્ચાર્જ પી આઈ એલ.એ .પરમાર પોતાના સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી કરી બંન્ને મૃતદેહોને શહેરા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.બનાવના પગલે ખોબલા જેટલા પરા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.નોંધનીય છે કે બંન્ને પ્રેમીપંખીડા એકજ ફળિયામાં રહેતા હતા અને કૌટુંબિક રીતે પણ સંબંધી થતાં હોય મનીષા અને અનુપ ને લાગ્યું હશે કે સમાજ આપણા પ્રેમસબંધને જાકારો આપશે અને કોઈ આને સમજી નહીં શકે એવું માની લઈ તેઓએ આ ફાની દુનિયાને અલવિદા કહેવાનું નક્કી કર્યું હશે.