રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આસો મહિનામાં અષાઢી વાતાવરણ છવાયું છે. દરમિયાન ભારે વરસાદના કારણે અમદાવાદ શહેર પાણીપાણી થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદના પાણી ગરબા મેદાનો પર ભરાઈ જતાં મોટાભાગના ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહીતના મોટા ગરબા રદ થયા છે.
ભારે વરસાદના કારણે અમદાવાદની ત્રણ ક્લબમાં આવતીકાલે પણ ગરબા નહીં યોજાય. શહેરના 45 મુખ્ય ગરબા આયોજકોમાંથી 7 આયોજકે સાંજે વરસેલા વરસાદ પહેલાં જ નવરાત્રીનું આયોજન રદ કરવાની જાહેરાત કરી હતી. અમદાવાદમાં સાંજે વરસેલા વરસાદના કારણે ઠેરઠેર ચક્કાજામના દૃશ્યો સામે આવ્યા છે.