રાજકોટઃ શહેરના મોરબી રોડ ઉપર સંબંધોના ખુનનો ચોંકાવનારી ઘટના બની હતી. અહીં યુવકને તેના જ સસરાએ છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યામાં યુવકની પત્ની અને સાળી પણ શંકાના દાયરામાં હોય પોલીસે બંનેને સકંજામાં લીધી હતી. યુવક પત્નીના ચારિત્ર પર શંકા કરતો હોય તેની હત્યા કર્યાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
શહેરના મોરબી રોડ પરના ચામડિયા ખાટકીવાસમાં રહેતા યુવકને તેના જ સસરાએ છરીના ત્રણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 35 વર્ષીય ફારૂક રહેમાનભાઇ મુસાણીને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના આંતરડા બહાર નીકળી ગયા હતા. ઘટનાની જાણ થતાં બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ઓસુરા અને ક્રાઇમ બ્રાંચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.
ફારૂકની માતાએ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો હતો કે, ફારૂકની પત્ની ફોન પર કોઇની સાથે વાત કરતી હતી, ફારૂકને શંકા હતી કે તેની પત્ની ઇલુને ભગવતીપરાના કોઇ શખ્સ સાથે આડાસંબંધ છે જે બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી હતી અને એ મામલે જ સાંજે પણ બોલાચાલી થઇ હતી. સાંજથી આ મુદ્દે ધમાલ ચાલતી હતી. વાવાઝોડાને કારણે વીજળી ગૂલ થઇ ત્યારે જ મામલો તંગ બન્યો હતો અને યુવકને છરીના ઘા ઝીંકી પતાવી દેવામાં આવ્યો હતો.હત્યામાં ઘરના જ ઘાતકી બન્યાનું બહાર આવતા જ પોલીસ સક્રિય બની હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ફારૂકને તેના સસરા હારૂન જમાલે છરીના ત્રણ ઘા ઝીંકી પતાવી દીધો હતો. ફારૂકની હત્યામાં તેની પત્ની ઇલુ અને તેની સાળીની પણ સંડોવણીની શંકા હોય પોલીસે બંનેને સકંજામાં લીઇ પૂછપરછ શરૂ કરી હતી. હત્યા કરી હારૂન જમાલ નાસી જતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફારૂક બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો અને હારૂનની હત્યાથી તેના એક પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.