પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સોશિયલ મિડીયા ઉપર દર મહિને ૬.૫૦ કરોડ શિવભકતો દર્શનનો લાભ લીધો છે અને આ વિક્રમ સંખ્યા ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ભારતના બાર જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર વિશ્ર્વના ૪૭થી પણ વધુ દેશોમાં સોશિયલ મીડીયા દ્વારા શિવભકતો દર્શન કરે છે. સોમનાથ ટ્રસ્ટ – ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઇ લહેરીએ જણાવ્યુ હતુ કે, સોશિયલ મિડીયા ઉપર દર મહિને ૬.૫૦ કરોડ મુલાકાતીઓ મહાદેવના દર્શન કરી રહેલ હોય અને આ વિક્રમ સંખ્યાને ગીનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મેળવે તે માટે કાર્યવાહી શરૂ કરી છે.
આ ઉપરાંત ગત તા.૨જી જુલાઇએ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ટ્રસ્ટી અમિત શાહ ને રૂબરૂ દિલ્હી ખાતે મળી સમુદ્ર દર્શન માર્ગ (પ્રોમેનેટેડ) અને નવીનીકરણ થયેલ માતુશ્રી અહલ્યાદેવી મંદિર અને શિલ્પ સ્થાપત્યના આગવી રીતે રજુ કરતા સંગ્રહાલય, મ્યુઝિયમ લોર્કાપણ કરવા માટે સમય ફાળવવા જણાવ્યું અને રૂબરૂ શક્ય નહીં બને તો વર્ચ્યુઅલ લોકાર્પણ કરવા માટેની તારીખ જણાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સોમનાથ મંદિરમાં તા.૧૭મી જુલાઇથી દર્શન સમયમાં વધારો અને નિયંત્રણ સાથે આરતી દર્શન પૂણ્ય પ્રાપ્ત થતાં ભાવિકો કોવિડ ૧૯ ના નિયમા પાલન સાથે ઉમટી રહ્યા છે. તા.૧ જુલાઇ થી તા.૨૧મી જુલાઇ સુધીમાં ૨,૪૧,૯૩૫ દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતા.