ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાના પ્રાસલી ગામ ખાતે યોજાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના ચાલુ કાર્યક્રમ દરમિયાન ખેડૂત દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ વ્યાપી ગયો હતો અને તંત્ર દોડતું થઈ ગયું હતું. ખેડુતે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં તાત્કાલિક તેને બચાવી લઈ સારવાર માટે વેરાવળ ખાતે આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વિગતો મુજબ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના પ્રાસલી ખાતે માર્કેટિંગ યાર્ડના ઉદ્ઘાટનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્કેટિંગ યાર્ડને મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાર્યક્રમ ચાલી રહ્યો હતો તે દરમિયાન કોડીનારના ડોળસા ગામમાં રહેતા ખેડૂત મસરીભાઇ અસરીભાઇ ડોડિયા કાર્યક્રમમાં આવી પહોંચ્યા હતા. જેમણે પોતાની પાસેની ઝેરી દવાની બોટલ કાઢી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ કાર્યક્રમ માટે બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે તરત જ તેને પકડી પાડ્યો હતો.
દવા શરીરમાં જવાના કારણે ખેડૂતની તબિયત લથડી હતી. આમ તેને તાત્કાલિક તેને સારવાર માટે વેરાવળ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
અત્રે નોંધનીય છે કે, ડોળસા ગામના ખેડૂત મસરીભાઈ દ્વારા થોડા દિવસ પહેલા જ જમીનના મુદ્દાને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતની જમીન ઉપર દબાણ થયું હતું જેને હટાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. પ્રશ્નનો ઉકેલ ન આવે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. જેના પગલે આજે રવિવારે વિજય રૂપાણીના કાર્યક્રમમાં ખેડૂતે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.