ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ક્યારે જામશે ક્રિકેટનો જંગ? ICC ના દુભાઈ સેમિનાર પર તમામની નજર
દુનિયાભરના ક્રિકેટ ફેન્સ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશાં સૌથી રોમાંચક અને હાઇ-વોલ્ટેજ મુકાબલો માનવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકીય તણાવના કારણે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી (Bilateral Series) રમાઈ નથી, પરંતુ હવે ક્રિકેટ ચાહકો માટે એક આશાજનક સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારત સામે મલ્ટી-નેશન અથવા ત્રિ-રાષ્ટ્રીય (Tri-Series) શ્રેણી રમાડવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. આ અંગે આગામી સમયમાં યોજાનારી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ની મહત્વપૂર્ણ બેઠકમાં ચર્ચા થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
૨૨ અને ૨૩ સપ્ટેમ્બરે દુબઈમાં ICC નો સ્પેશિયલ સેમિનાર
આગામી ૨૨ અને ૨૩ સપ્ટેમ્બરના રોજ દુબઈ ખાતે ICC ના વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં વર્ષ ૨૦૨૭ થી ૨૦૩૧ સુધીના ‘ફ્યુચર ટૂર્સ પ્રોગ્રામ’ (FTP) નો રોડમેપ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના કેલેન્ડર પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર, આ વર્કશોપમાં ICC ના ૧૨ પૂર્ણ સભ્ય દેશો તેમજ ૮ એસોસિએટ સભ્ય દેશોના પ્રતિનિધિઓ અને ઓપરેશન્સ ટીમ ભાગ લેશે. આ ચર્ચા દરમિયાન PCB તરફથી ભારત, પાકિસ્તાન અને અન્ય એક કે બે ટીમોને આવરી લેતી ત્રિ-રાષ્ટ્રીય અથવા ચાર-દેશોની ટૂર્નામેન્ટ યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવે તેવી સંભાવના છે. ICC પણ દ્વિપક્ષીય શ્રેણીઓ કરતાં બહુ-રાષ્ટ્રીય ટૂર્નામેન્ટથી મળતી કમાણી અને કમર્શિયલ વેલ્યુ પર વિચારણા કરી રહી છે.
૨૦૧૩ થી દ્વિપક્ષીય સીરિઝ પર બ્રેક: તટસ્થ સ્થળ બનશે ઉકેલ?
નોંધપાત્ર છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી ૨૦૧૨-૧૩ માં રમાઈ હતી, જ્યારે પાકિસ્તાનની ટીમે ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી બંને દેશો માત્ર ICC ના વર્લ્ડ કપ, ચેમ્પિયન્સ ટ્રોફી અને ACC ના એશિયા કપ જેવી મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટમાં જ સામસામે આવ્યા છે.
જો આ નવી ત્રિ-રાષ્ટ્રીય શ્રેણીના પ્રસ્તાવને મંજૂરી મળે છે, તો તે કોઈ તટસ્થ સ્થળે યોજવામાં આવી શકે છે. આ માટે સંભવિત તટસ્થ સ્થળો તરીકે યુનાઇટેડ આરબ અમીરાત (UAE), ઇંગ્લેન્ડ અથવા ઓસ્ટ્રેલિયાના નામો ચર્ચામાં છે. તટસ્થ સ્થળે રમાનારી બહુ-રાષ્ટ્રીય ટૂર્નામેન્ટ દ્વારા બંને ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી શરૂ કર્યા વિના પણ મેચ યોજી શકાશે.

અંતિમ નિર્ણય ભારતીય સરકારની પરવાનગી પર આધારિત
જોકે, આ બાબતે માત્ર ICC ની મંજૂરી જ પૂરતી રહેશે નહીં. પાકિસ્તાન બોર્ડ આ શ્રેણી માટે ઉત્સુક હોવા છતાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે ભારત સરકારની મંજૂરી મેળવવી ફરજિયાત રહેશે. ભારત સરકાર તરફથી લીલી ઝંડી મળ્યા બાદ જ BCCI આ પ્રકારની કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા અંગે આખરી નિર્ણય લઈ શકશે.
