નવીદિલ્હીઃ ભારતમાં 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે જે વિશ્વનુ સૌથી મોટુ રસીકરણ અભિયાન છે. જો કે અધિકારીઓની બેદરકારીને લીધે હાલના સમયમાં સંજીવની બુટી સમાન કોરોના વેક્સીનનો બગાડ થયાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. દેશમાં 5 રાજ્યોમાં કોરોના વેક્સીનના લગભગ 5,000 ડોઝનો બગાડ થયો છે. જે 5 રાજ્યોમાં કોરોના વેક્સીનનો બગાડ થયો છે તેમાં ત્રિપુરા, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ અને ઓડિશા છે, જેમાંથી સૌથી વધારે 11 ટકા ઘટના ત્રિપુરામાં બની છે.
હિન્દુસ્તાન મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ રાજ્યોમાં કોરોના રસીનો બગાડ આ કારણસર થયો કે ઘણા લોકો રસી મુકાવવા ગયા જ નહી અને વેક્સીન લગાવનારે રસીની શીશીઓ ખોલી દીધી હતી. વેક્સીનની શીશી ખોલ્યા બાદ તેનો ચાર કલાકની અંદર ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે.
ગત 16 જાન્યુઆરી બાદથી દરેક સેશન દરમિયાન પસંદ કરાયેલા 100 લોકોમાંથી માત્ર 55 લોકોને પસંદ કરાયા અને તેમને જ રસી મુકાવા માટે બોલાવાયા હતા. ગત ગુરુવાર સુધીમાં સરેરાશ આ આંકડો 100માંથી 49 સુધી આવી ગયો, જ્યાં પાંચ લાખ લોકોને કોરોના વેક્સીન મૂકવાનો લક્ષ્યાંક હતો. પંજાબમાં કોવિડ-19ના રાજ્યકક્ષાના નોડલ ઓફિસર ડો. રાજેશ ભાસ્કરના મતાનુસાર, આ સંખ્યા 1200 ડોઝની હતી.
તો બિહારમાં આરોગ્ય અધિકારીઓએ કહ્યુ કે, કોરોના રસીનો બગાડ અત્યાર સુધી 10 ટકાથી ઓછો હતો. એક અધિકારીએ કહ્યુ કે, ભારત બાયોટેકની કોવેક્સિનનો બગાડ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશિલ્ડની તુલનામાં વધારે થયો છે કારણ તેની શીશીનું કદ મોટુ હતુ. એટલુ જ નહીં પટનાની નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક બાજુ પાછલા સપ્તાહે 25 કોરોના વેક્સીનના ડોઝનો બગાડ થયો છે તો બીજી બાજુ રસીના ઘણા ડોઝ ખોવાઇ ગયા છે અથવા તો ગુમ થઇ ગયા છે. બિહારમાં કુલ 301 સેન્ટરમાંથી 295 પર કોવિશિલ્ડ રસી મૂકવામાં આવી રહી હતી.
ઉત્તરાખંડના રસીકરણ અધિકારીએ કહ્યુ કે, કોરોના વેક્સીનના 14,5000ની આસપાસ એટલે કે 4.1 ટકા ડોઝ થઇ ગયા છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ 28 જાન્યુઆરી સુધી મૂકાયેલી રસીમાંથી 1,94,048 ડોઝમાંથી ઓરિસ્સામાં 0.58 ટકા જેટલા 1125 ડોઝનો બગાડ થયો છે. તે ઉપરાંત ઝારખંડ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મિર, કેરળ અને છત્તીસગઢમાં આરોગ્ય અધિકારીઓએ કહ્યુ કે, તેમને ત્યાં કોરોના વેક્સીનનો જરાક પણ બગાડ થયો નથી.
ઉલ્લેખનિય છે કે, ભારતમાં 16 થી 28 જાન્યુઆરી સુધીમાં કુલ 28,80,740 લાખ લોકોને કોરોના વેક્સીન મૂકવામાં આવી છે. ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ એવા હેલ્થ વર્કર્સ, ડોક્ટરો, આંગણવાડી કાર્યકર્તોઓને સૌથી પહેલા રસી મૂકવામાં આવશે.