કેન્દ્ર સરકારે કોરોના દર્દીઓને આપવામાં આવતાં ઈન્જેક્શન રેમડેસિવિરની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
દેશ માં નવા કેસમાં અચાનક વધારો થવાને કારણે દેશભરમાં આ ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી છે. દેશની સાત કંપની રેમડેસિવિર ઈન્જેક્શનની સ્થાનિક માંગ સંતોષવાની સાથે નિકાસ પણ કરી રહી છે. તેની દર મહિને 38.80 લાખ ઈન્જેક્શન તૈયાર કરવાની ક્ષમતા છે. આ સિવાય કેટલીક વધુ કંપનીઓ તેનું ઉત્પાદન ફક્ત નિકાસ માટે કરી રહી છે. દેશમાં કોરોનાની પહેલી લહેર પછી કેટલીક કંપનીઓએ તેનું ઉત્પાદન ઘટાડી દીધું હતું, જેનાથી સંકટ સર્જાયું છે, આ દરમિયાન ઈન્ડિયન ડ્રગ મેન્યુફેક્ચર્સ એસોસિયેશને રેમડેસિવિરની અછતને જોતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનને પત્ર લખીને નિકાસ માટે રાખેલા સ્ટોકની માંગ કરી હતી. આ મુદ્દે સરકારે નિકાસ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો હતો.
આરોગ્ય મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું કે, કોરોનાની સ્થિતિ સુધારવા માટે નિકાસ પર પ્રતિબંધ લગાવાયો છે. રેમડેસિવિરના તમામ સ્થાનિક ઉત્પાદકોને તેઓ પોતાની વેબસાઈટ પર દવાના સ્ટોકિસ્ટ અને વિતરકોની માહિતી પણ મૂકવા જણાવી દેવાયુ છે. ડ્રગ્સ ઈન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓને પણ નિર્દેશ અપાયો છે કે તેઓ સ્ટોકની તપાસ કરતા રહે. આ ઉપરાંત સંગ્રહખોરો અને કાળાં બજાર રોકવા માટે જરૂરી પગલાં લેવા આદેશ અપાયો છે, રાજ્યોના આરોગ્ય સચિવ ડ્રગ ઈન્સ્પેક્ટરો સાથે સ્થિતિની સમીક્ષા પણ કરે. રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે ફાર્માસ્યુટિકલ વિભાગ સ્થાનિક ઉત્પાદકોના સંપર્કમાં હોવાનું વિભાગે ઉમેર્યું છે.
