રાજસ્થાનના ઉદયપુરમાં સોશિયલ મીડિયા પર નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ટેલર કનૈયાલાલનું ગળું કાપીને હત્યા કરી નાખવાનો મામલો ભારે ગાજયો છે,આ પોસ્ટ તેમના 8 વર્ષના બાળકે કરી હોવાનું સામે આવ્યુ છે.
પોલીસે હત્યામાં સામેલ રિયાઝ મોહમ્મદ અને ગોસ મોહમ્મદની રાજસમંદ જિલ્લાથી ધરપકડ કરી લીધી છે અને આ ઘટનાની તપાસ માટે SITની રચના થઈ છે, જેમાં SOG ADG અશોક રાઠોડ, ATS IG પ્રફુલ કુમાર અને એક SP અને એડિશનલ SP તપાસ કરશે.
કનૈયાલાલની નિર્મમ હત્યા થયા બાદ 7 કલાક બાદ તેમના પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો, મૃતકના પરિવારજનોને 31 લાખના વળતર આપવા ઉપરાંત પરિવારના 2 સભ્યોને કોન્ટ્રાક્ટ પર નોકરીની જાહેરાત થઈ છે.
રાજ્યમાં કલમ 144 લાગૂ કરવા અને મોબાઇલ ઇન્ટરનેટને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મુખ્ય સચિવ ઉષા શર્મા અને પોલીસ મહાનિર્દેશક મોહનલાલ લાઠરની હાજરીમાં ઉચ્ચ અધિકારીઓની મળેલી બેઠક બાદ તમામ ડીવીઝનલ કમિશનર અને જિલ્લા કલેક્ટરને કલમ 144 લાગૂ કરવા સહિત મોબાઇલ ઇન્ટરનેટ બંધ રાખવા પોતાના જિલ્લાઓમાં પાલન કરવા આદેશ આપ્યા છે.
રાજસ્થાનમાં તમામ પોલીસકર્મીઓની રજા રદ્દ કરી દેવા સાથે જયપુરથી 600 પોલીસકર્મીઓનો કાફલો ઉદયપુરમાં બંદોબસ્ત માટે જવા રવાના થયો હતો.