ભોપાલઃ ભારતમાં ફરી કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેના લીધે વિવિધ રાજ્યોની સ્થાનિક સરકારો સંક્રમણને રોકવા અને લોકોને એકઠાં થતા રોકવા માટે રાત્રી કરફ્યુ અને લોકડાઉન જેવા કડક પગલાં લેવાની ફરજ પડી રહી છે. આજે ગુજરાતે મુખ્ય 4 શહેરોમાં રાત્રી કરફ્યુ 15 દિવસ લંબાવ્યા બાદ પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ ત્યાંની સરકારે બે શહેરોમાં નાઇટ કર્ફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે.
મધ્ય પ્રદેશના ભોપાલ અને ઇંદૌર શહેરમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આજે ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી કોરોના સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં લઇને સરકારે આ નિર્ણય કર્યો છે. સાથએ જ મહારાષ્ટ્રમાંથી મધ્ય પ્રદેશ આવતી લોકોનું થર્મલ સ્કેનિંગ શરુ રહેશે અને તેવા લોકોને એક અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.
ભોપાલ અને ઇંદૌરમાં આવતી કાલ એટલે કે 17 માર્ચથી નાઇટ કર્ફ્યુ લાગું થશે. જેને સમય રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો છે. જો આ બંને શહેરમાં કોરોના કેસમાં ઘટાડો ના થયો તો અઠવાડિયામાં એક દિવસ સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ થઇ શકે છે.
આ સાથે જ મધ્ય પ્રદેશના 8 શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ તમામ બજાર બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ 8 શહેરોમાં જબલપુર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છિંદવાડા, બુરહાનપુર, બૈતૂલ અને ખરગોનનો સમાવેશ થાય છે.