કોંગ્રેસ માટે એક આઘાત જનક સમાચાર માં મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે હોળી ના દિવસે જ મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે જોકે આ અગાઉ તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હોવાનું મનાય છે. આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દેતા તેના સમગ્ર દેશ ના રાજકારણ માં પડઘા પડ્યા છે.
શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટ્વીટર પર રાજીનામાં નો પત્ર મુક્યો હતો જોકે ત્યારબાદ 20 મિનિટ પછી લગભગ 12.30 વાગ્યે જ કોંગ્રેસે પણ તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટ્વીટ કર્યું હતું.
સિંધિયાએ પોતાના રાજીનામામાં અંગ્રેજીમાં લખ્યું કે, ડિઅર મિસિસ ગાંધી, હું છેલ્લા 18 વર્ષોથી પાર્ટીનો પ્રાથમિક સભ્ય છું. હવે સમય થઈ ગયો છે કે મારે નવી શરૂઆત સાથે આગળ વધવું જોઈએ. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી રહ્યો છું અને તમે જાણો જ છો કે આ એ રસ્તો છે જે ગત વર્ષે મેં જાતે બનાવવાનો શરૂ કર્યો હતો. જો કે જન સેવાનું મારું લક્ષ્ય એવું જ રહેશે જે પહેલાથી હતું, હું મારા રાજ્ય અને દેશના લોકોની એ પ્રકારે સેવા કરતો રહીશ, મને લાગે છે કે હું આગળ આ કામ આ પાર્ટીમાં રહીને કરવામાં સક્ષમ નહોતો. મારા લોકો અને મારા કાર્યકર્તાઓની ભાવનાઓને રજુ કરવા અને તેને વ્યક્ત કરવા માટે, મને લાગે છે કે આ સૌથી સારુ રહેશે કે હું આગળ વધું અને એક નવી શરૂઆત કરું. મને દેશ સેવા માટે એક મંચ આપવા માટે હું આપ સૌનૌ આભાર માનું છું અને તમારા માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના મારા સાથીઓને પણ ધન્યવાદ આપું છું.
સાદર,
આપનો જ્યોતિરાદિત્ય સિંધિયા
આ પહેલા સિંધિયા તેમના ઘરેથી સીધા અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી જ શાહ સાથે પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના આવાસ પર આ બેઠક સવારે 10.45 વાગ્યાથી શરૂ થઈ હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું. બીજી તરફ સોનિયા ગાંધી એ પણ દિલ્હીમાં પોતાના આવાસ પર બેઠક બોલાવી હતી જેમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ સિંધિયા પર કાર્યવાહી કરી શકે છે. તો બીજી તરફ સિંધિયાના મોદીને મળ્યા બાદ ભોપાલ માં રાજકારણ ગરમાયુ છે. અહીં
મધ્યપ્રદેશ ની વાત કરવામાં આવે તો 230 વિધાનસભાની બેઠકો છે જેમાં બે ધારાસભ્યોનું અવસાન થઈ ગયું છે.જેથી હાલ ની વિધાનસભાની સ્થિતિ 228 થઈ ગઈ છે. કોંગ્રેસ પાસે 114 ધારાસભ્ય છે, જ્યારે સરકાર બનાવવાનો જાદુઈ આંકડો 115 છે. કોંગ્રેસને 4 અપક્ષ, 2 બહુજન પાર્ટી અને એક સમાજવાદી પાર્ટીના ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ પ્રકારે કોંગ્રેસ પાસે કુલ 121 ધારાસભ્યોનું સમર્થન છે. જ્યારે ભાજપ પાસે 107 ધારાસભ્ય છે હવે સિંધિયા પાછળ તેમના સમર્થન માં લગભગ 20 ધારાસભ્ય રાજીનામું આપી શકે છે અને જો આવુ થાય તો ભાજપ ને અહીં સરકાર બનાવવાનો માર્ગ મોકળો બનશે આમ અહીં ના રાજકારણ ઉપર આખા દેશ ની નજર મંડાઈ છે.