થાણેઃ કોરોના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં આગની ઘટનાઓ વધી છે. હવે થાણેની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં બુધવારે વહેલી સવારમાં આગ લાગી હતી. આગની જાણ થતાં જ દર્દીઓને તરત જ બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ દરમિયાન ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મૃત્યુઆંક હજુ વધી શકે છે.
થાણે મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું કે થાણેના મુંબ્રામાં પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં આજે સવારે 03::40૦ વાગ્યે આગ ભભૂકી ઉઠી હતી, ફાયર ફાઇટર અને એક બચાવ વાહન ઘટના સ્થળ પર છે, આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે, અને દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવા દરમિયાન ચાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
વિરારની હોસ્પિટલમાં પણ બની હતી આવી જ ઘટના
અગાઉ મુંબઈના વિરાર વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ કોવિડ હોસ્પિટલમાં આગને કારણે 14 લોકોનાં મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલમાં, 17 કોરોના દર્દીઓ આઇસીયુમાં હતા, જેમાંથી 14 લોકો મૃત્યુ પામ્યા હતા. આગના સમયે સમગ્ર હોસ્પિટલમાં કુલ 90 દર્દીઓ હતા અને આઈસીયુના ત્રણ દર્દીઓ અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં અકસ્માતો સતત બનતા રહે છે. વિરારમાં આગ લાગી તે પહેલાં, નાસિક મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ડો.જાકિર હુસેન હોસ્પિટલની ઓક્સિજન ટાંકી લીક થઈ ગઈ હતી. આને રોકવા માટે દર્દીઓને ઓક્સિજનની સપ્લાય થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. આને કારણે 24 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જેઓ વેન્ટિલેટર પર હતા.
26 માર્ચે, નાસિકની ઘટના પહેલા, મુંબઇના ભંડુપમાં ડ્રીમ્સ મોલની સનરાઇઝ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 11 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. મૃત્યુ પામેલા તમામ દર્દીઓ વેન્ટિલેટર પર હતા, જેના કારણે તેઓ બહાર નીકળી શક્યા ન હતા. કોરોના પીડિતો ઉપરાંત અન્ય રોગોના દર્દીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.