રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોને લઈને મોટો નિર્ણય લેવાયો છે. ડે.સીએમ નીતિન પટેલે RTPCR ટેસ્ટ તેમજ મા કાર્ડને લઇને પ્રેસ કોન્ફરન્સ યોજતા જણાવ્યું કે, ‘રાજ્ય સરકારે 40 લાખથી વધુ RTPCR ટેસ્ટ મફત કર્યા છે. તમામ જિલ્લાઓમાં લેબ ઉભી કરવાનું અમારું આયોજન છે. ઘરે બેઠા RTPCR ટેસ્ટ કરાવવાના 900 રૂપિયા લેવાશે. લેબમાં RTPCR ટેસ્ટ કરાવવાનો ચાર્જ 700 રૂપિયા લેવાશે. RTPCR ટેસ્ટનો ચાર્જ રૂ.૧૦૦ ઘટાડાયો. તારીખ ૨૦ એપ્રિલથી નવો ચાર્જ લાગુ પડશે.’વધુમાં તેઓએ જણાવ્યું કે, ‘ગુજરાત સરકારે તો અત્યાર સુધી 40લાખ 99 હજાર ટેસ્ટ ગુજરાત સરકારે પોતાના ખર્ચે કર્યો છે. 1 કરોડ 59 લાખથી વધુ એન્ટિજન ટેસ્ટ કર્યા છે. સરકાર તરફથી વિના મૂલ્યે ટેસ્ટ થાય છે. બંને પ્રકારના ટેસ્ટિંગ ફ્રીમાં થાય છે. તેમ છતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે દર ઘટાડ્યા છે. હવેથી પ્રાઈવેટ લેબ આનાથી વધારે ભાવ વસુલી શકશે નહીં.’રાજ્યમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ માટેના દરમાં રૂપિયા 100નો ઘટાડો કર્યો છે. જેથી લોકોને ખર્ચમાં વાંધો ના આવે. ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરાયો છે. સંક્રમિત વ્યક્તિની તાત્કાલિક સારવાર થાય અને સંક્મણ ના ફેલાય તે માટે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારી છે. કચ્છ જિલ્લા માટે ટેસ્ટિંગ મશીન અપાશે. રાજ્યમાં 20 જિલ્લાઓમાં રાત્રિ કરફ્યુ અમલી છે.
