જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવામાં આવ્યા બાદ નજરકેદ કરવામાં આવેલા ચાર નેતાઓને છોડવામાં આવ્યા છે. જે ચાર નેતાઓને નજરકેદમાંથી છોડવામાં આવ્યા છે તે તમામ નેતા ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફ્રેન્સના છે. આ ચાર નેતામાં અબ્દુલ મજીદ લારમી, ગુલામ નબી ભટ્ટ, મુહમ્મદ શાફી અને મુહમ્મદ યુસૂફ ભટ્ટ છે.
આ પહેલા 16 જાન્યુઆરીએ પાંચ અન્ય મુખ્યધારાના રાજનેતાઓને એમએલએ હોસ્ટેલમાંથી છોડવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ નેતા ફારૂક અબ્દુલ્લાની પાર્ટી (નેશનલ કોન્ફ્રેન્સ) અને બે નેતા મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપીના હતા.
આ ચાર નેતાઓને છોડવાની સાથે નજરકેદમાં રહેલા ઘાટીના રાજનેતાઓની સંખ્યા 17 રહી ગઇ છે. જમ્મુ કાશ્મીરના ત્રણેય પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને પણ આર્ટિકલ 370ને રદ કરવામાં આવ્યા બાદથી અટકાયતમાં રાખવામાં આવ્યા છે. ફારૂક અબ્દુલ્લાને ગુપકર રોડ સ્થિત તેમના ઘરમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે જ્યારે ઉમર અબ્દુલ્લાને હરિ નિવાસમાં અને મહેબુબા મુફ્તીને શ્રીનગરમાં એમએ રોડ પર એક ગવર્મેન્ટ હાઉસમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે.