અયોધ્યાને ધર્મનગરી તરીકે વિકસીત કરવા માટે મોટો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. યોગી સરકારનો પ્રયાસ છે કે, અયોધ્યાને દેશના સૌથી મોટો ધાર્મિક સ્થળ બનાવવામાં આવે. તેની માટે અયોધ્યા તીર્થ ડેવલપમેન્ટ બોર્ડની રચના કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયામાં કેટલાક તબક્કા હશે જેમાં શરૂઆતના તબક્કામાં જ 4 વર્ષ લાગશે.
અયોધ્યાના વિકાસની સાથે જ યોગી સરકારનો પ્રયાસ છે કે, અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું એરપોર્ટ પણ બનાવવામાં આવે. જેથી વિશ્વભરના શ્રદ્ધાળુ સીધા રામ નગરીમાં ઉતરી શકે. આગામી વર્ષે રામ નવમી સુધી તેની શરૂઆત થઇ જાય તેને લઇને પ્રયાસ શરૂ થઇ ગયા છે. મહત્વપૂર્ણ છે કે, અયોધ્યા રેલવે સ્ટેશન માટે મોદી સરકાર પહેલા જ 100 કરોડ રૂપિયાની જાહેરાત કરી ચૂકી છે.
આ મામલે અયોધ્યાના મેયર રાકેશ ઉપાધ્યાયનું કહેવું છે કે, સરકાર અયોધ્યાના મોટા સ્તર પર વિકાસ માટે યોજનાઓ તૈયાર કરી રહી છે. જલ્દી તેને આખરી ઓપ આપી સાર્વજનિક કરવામાં આવશે. કેટલીક મુખ્ય યોજનાઓની વાત કરીએ તો, અયોધ્યામાં એક નવો આંતરરાજ્ય બસ ટર્મિનલ બનાવવામાં આવશે. જ્યાંથી 3000થી 4000 બસ ચલાવવાની યોજના છે.
સુત્રો અનુસાર, ભગવાન રામના જીવન પર આધારિત એક 13 કિલોમીટર લાંબો શ્રીરામ કૉરિડોર પણ બનાવવામાં આવશે, જેની જવાબદારી સંસ્કૃતિ અને પર્યટન વિભાગને આપવામાં આવી છે. આટલુ જ નહી, વારાણસીમાં ગંગાની જેમ અયોધ્યામાં સરયૂ નદીમાં ક્રૂઝ ચલાવવાનો પ્રસ્તાવ છે. આ ક્રૂઝ શ્રદ્ધાળુ, પ્રવાસીઓને અયોધ્યાના વિવિધ સ્થળનો પ્રવાસ કરાવશે. આટલુ જ નહી આ ધર્મનગરીમાં વિશ્વસ્તરીય ફાઇવ સ્ટાર હોટલ અને રિસોર્ટ પણ હશે જે વિદેશી પ્રવાસીઓને સુવિધા પુરી પાડશે.
અયોધ્યા નગર નિગમની યોજના અનુસાર, નગર નિગમ સીમા સાથે જોડાયેલા કેટલીક મુખ્ય સંસ્થા જેવી અયોધ્યા શ્રી રામ એરપોર્ટ, રાજર્ષિ દશરથ મેડિકલ કોલેજ, આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ અને પોલિટેકનિક હવે અયોધ્યા નગર નિગમમાં સામેલ થશે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર આવતા જ અયોધ્યાના વિકાસ માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.