રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ કૃષિ કાયદાઓને વિવાદ ઉભો થાય તેવું નિવેદન આપ્યું છે. તેમના કહેવા અનુસાર ભવિષ્યમાં જરૂરત પડશે તો ફરી કાયદા બનાવવામાં આવશે. કલરાજ મિશ્રએ ભદોહી ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રને સંબોધન દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ કાયદો પાછો ખેંચવાનું કારણ દર્શાવતા કહ્યું હતું કે, અમે ખેડૂતોને સમજાવી શક્યા નહીં તે માટે કાયદા પાછા લઈ રહ્યા છીએ.
તેવામાં રાજ્યપાલ કલરાજ મિશ્રના કહ્યું છે કે, જરૂરત પડશે તો ફરી આવા કાયદા બનાવવામાં આવી શકે છે. કિસાન સંગઠનો પણ આ વાતને લઈ આશંકા વ્યક્ત કરી ચુક્યા છે. માટે જ તેમના કહેવા પ્રમાણે જ્યાં સુધી સંસદમાંથી કાયદા પરત લેવા પર મહોર ન વાગે ત્યાં સુધી આંદોલન ખતમ નહીં થાય.
જોકે તેમને મીડિયા સાથેની વાતચીત દરમિયાન કાયદા પરત ખેંચવાના નિર્ણયને પ્રશંસનીય ગણાવ્યો હતો. આ સાથે જ એમ પણ કહ્યું હતું કે, કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં હતા. સરકારે સતત ખેડૂતોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો તેમ છતાં ખેડૂતો આંદોલન કરતા રહ્યાં અને કાયદા પાછા ખેંચવાની માગ મામલે અડગ રહ્યા હતા. આખરે સરકારને લાગ્યું કે, કાયદા પાછા લેવા જોઈએ. વધુમાં કહ્યું હતું કે, ‘પછી આગળ આ સંબંધે કાયદા બનાવવાની જરૂર પડશે તો ફરી બનાવવામાં આવશે. હાલ પૂરતા તેને પરત લેવામાં આવી રહ્યા છે.’
અગાઉ ઉન્નાવ બેઠક પરથી ભાજપના સાંસદ સાક્ષી મહારાજે પણ કહ્યું હતું કે, બિલ બને છે, બગડે છે અને પછી પાછા આવી જાય છે. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ રાષ્ટ્ર અને બિલમાંથી રાષ્ટ્રને પસંદ કર્યું છે. જ્યારે ફર્રૂખાબાદના બીજેપી સાંસદ મુકેશ રાજપૂતે વડાપ્રધાન મોદીના કાયદો પરત લેવાના નિર્ણય મામલે અસહ્મતિ વ્યક્ત કરતા કહ્યું હતું કે, તેમણે મજબૂરીવશ આ નિર્ણય લીધો છે.
વડાપ્રધાન મોદીએ કાયદો પરત ખેંચવાની જાહેરાત કરી દીધી પરંતુ હજુ તેને સંસદમાં પાસ કરાવવી પડશે. જાણવા મળ્યા મુજબ બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે જેમાં કૃષિ કાયદાની વાપસીના પ્રસ્તાવને મંજૂરી અપાઈ શકે છે. ત્યાર બાદ આ મહિનાના અંતથી સંસદનું સત્ર શરૂ થઈ રહ્યું છે તેમાં કાયદા વાપસી માટેનું બિલ રજૂ કરવામાં આવશે.