સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લાં પાંચ વર્ષમાં ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી 300 કરોડ રૂપિયા વસૂલ્યા હોવાનો દાવો આઈઆઈટી બોમ્બેના એક સ્ટડીમાં કરાયો હતો. એટલું જ નહીં, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ એસબીઆઈએ આરબીઆઈના નિયમો તોડયો હોવાનું જણાયું હતું.એસબીઆઈ સહિત ઘણી બેંકોએ ઝીરો બેલેન્સ એટલે કે બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ એકાઉન્ટ્સના નામે સર્વિસ ચાર્જ વસૂલ્યો હતો. એસબીઆઈએ છેલ્લાં પાંચ વર્ષમાં 12 કરોડ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલ્યા હતા અને એમાંથી 300 કરોડ જેટલી માતબર રકમ વસૂલી હતી.
પંજાબ નેશનલ બેંકે પાંચ વર્ષમાં બેઝીક સેવિંગ્સ બેંક ડીપોઝીટ એકાઉન્ટ અંતર્ગત 3.9 કરોડ એકાઉન્ટ ખોલ્યા હતા અને તેના મારફતે 9.9 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. ડિજિટલ ટ્રાન્ઝેક્શનની બાબતે પણ આરબીઆઈના નિયમો તોડયાનું જણાયું હતું. જેમ કે એસબીઆઈએ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં 17. 70 રૂપિયાનો ચાર્જ લગાડયો હતો. એટલે કે આ એકાઉન્ટ્સમાંથી નિર્ધારિત ચાર કરતાં વધુ વખત ટ્રાન્ઝેક્શન થાય તો તેના પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 17.70 રૂપિયા વસૂલાયા હતા. સ્ટડીમાં કહેવાયું હતું કે આ દર કોઈ પણ રીતે રિઝનેબલ કહી શકાય એવો નથી.
ઝીરો બેલેન્સથી એકાઉન્ટ ખોલી શકાય છે. તેનો અર્થ એ કે બેંકમાં એક રૂપિયો પણ જમા કરાવવાની જરૂર પડતી નથી કે એક રૂપિયો પણ એકાઉન્ટમાં રાખવો પડતો નથી, પરંતુ બેંક સર્વિસ ચાર્જ પેટે અલગથી રકમ વસૂલતી હોવાનું અહેવાલમાં જણાયું હતું. આઈઆઈટી બોમ્બેના પ્રોફેસર આશિષ દાસે કહ્યું હતું કે આરબીઆઈના નિયમ પ્રમાણે દરેક બેંક ઝીરો બેલેન્સથી ખાતું ખોલી આપે છે, પરંતુ આ બેંકોએ વેલ્યુએડેડ સર્વિસના નામે ગેરવાજબી રીતે ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલ્યો હતો. ટ્રાન્ઝેક્શન ઉપરાંત ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય તો તેના પર ચાર્જ વસૂલવો યોગ્ય નથી એવું સ્ટડીમાં કહેવાયું હતું. કારણ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં બેંકની સીધી સર્વિસ જોડાયેલી નથી.