કોલસા અને યુરેનિયમ ખાણ માટે જાણીતા ઝારખંડના ચૂંટણી રણમાં સત્તારૂઢ ભાજપ હારી રહી છે. ઝારખંડ મુક્તિ મોરચાના નેતૃત્વ ધરાવતા વિપક્ષી મહાગઠબંધન આ ભગવા કિલ્લા પર જીત તરફ આગળ વધી રહ્યું છે. આશરે 5 વર્ષ સુધી સરકાર ચલાવનારા મુખ્યમંત્રી રઘુબર દાસને ચૂંટણી પરિણામમાં પોતાના જ સાથીઓની નારાજગી ભારે પડતી જોવા મળી રહી છે. દરમિયાન અમે તમને ઝારખંડમાં ભાજપે કેમ હારનો સામનો કરવો પડ્યો તેના કારણ જણાવી રહ્યાં છીએ.
સહયોગીઓને નજરઅંદાજ કરવા પડ્યા ભારે
વર્ષ 2014માં વિધાનસભામાં ભાજપે પોતાની સહયોગી ઓલ ઝારખંડ સ્ટૂડન્ટ યૂનિયન (એજેએસયૂ) સાથે મળીને ચૂંટણી લડી હતી. ભાજપને 37 અને એજેએસયૂને 5 બેઠક મળી હતી. આ વખત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પોતાના સહયોગી દળને નજરઅંદાજ કર્યો અને એકલા જ ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો. ભાજપનો આ નિર્ણય તેની પર ભારે પડી ગયો હતો. એજેએસયૂ સારૂ પ્રદર્શન કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે વર્ષ 2000માં ઝારખંડની રચના થયા બાદ બન્ને દળ સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં હતા પરંતુ આ વખતે ભાજપે સબંધ તોડી દીધો હતો. આટલુ જ નહી ભાજપની એક અન્ય સહયોગી પાર્ટી એલજેપીએ પણ સાથે મળીને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ ભાજપે તેને ઠુકરાવી દીધો હતો. બાદમાં એલજેપીએ એકલી ચૂંટણી લડવી પડી હતી.
વિપક્ષે મહાગઠબંધન બનાવ્યુ
ઝારખંડમાં એક તરફ જ્યા ભાજપે પોતાના સહયોગી દળોને નજરઅંદાજ કર્યા બીજી તરફ વિપક્ષે ભેગા થઇને ચૂંટણી લડી અને ભાજપના આ કિલ્લાને ધ્વસ્ત કરી દીધો હતો. ઝારખંડ મુક્તિ મોર્ચા,આરજેડી અને કોંગ્રેસના મહાગઠબંધને બેઠકોની વહેચણી કરીને ચૂંટણી લડી અને ભાજપના એકલા સરકાર બનાવવાના દાવા પર પાણી ફેરવી દીધુ હતું. ચૂંટણી પરિણામોમાં હવે વિપક્ષ રાજ્યમાં પૂર્ણ બહુમત મેળવતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2014ની ચૂંટણીમાં ત્રણેય દળ અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા પરંતુ આ વખતે કોંગ્રેસે મહારાષ્ટ્ર અને હરિયાણામાંથી પાઠ લેતા જેએમએમ અને આરજેડી સાથે મહાગઠબંધન બનાવ્યો હતો.
પોતાનાઓએ જ ભાજપને આપ્યો ફટકો
ઝારખંડ ચૂંટણી પહેલા ભાજપને પોતાના જ નેતાઓ પાસેથી ઝટકા લાગ્યા હતા. ભગવા પાર્ટીના મોટા નેતા રાધાકૃષ્ણ કિશોરે ભાજપનું દામન છોડીને એજેએસયુ સાથે હાથ મીલાવી લીધો હતો. કિશોરનો એજેએસયૂમાં જવુ ભાજપ માટે મોટો ફટકો હતો. ટિકિટ વહેચણી દરમિયાન ભાજપે પોતાના વરિષ્ઠ નેતા સરયુ રાયને ટિકિટ આપી નહતી. સરયુ રાયે મુખ્યમંત્રી રઘુબર દાસ વિરૂદ્ધ જમશેદપુર ઇસ્ટ બેઠક પરથી ચૂંટણી લડી. સરયુ રાય હવે રઘુબર દાસથી આગળ ચાલી રહ્યાં છે.
‘મહારાષ્ટ્ર’થી ડરેલી ભાજપનો દાવ ઉંધો પડ્યો
ઝારખંડ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપે દાવો કર્યો હતો કે તેને 81માંથી 65 બેઠક મળશે અને તે એકલા દમ પર રાજ્યમાં સરકાર બનાવશે. ભાજપને આશા હતી કે તે પીએમ મોદીના ચહેરાને આગળ કરીને ચૂંટણી લડશે તો તેણે સફળતા મળશે. પોતાની આ રણનીતિ હેઠળ ભાજપે પીએમ મોદી, અમિત શાહની કેટલીક રેલી ઝારખંડમાં કરાવી હતી. આટલુ જ નહી ભાજપે પોતાના હિન્દૂ પોસ્ટર બોય યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ ઝારખંડના ચૂંટણી પ્રચાર માટે ઉતાર્યા હતા. ભાજપની આ રણનીતિ ફ્લોપ થઇ ગઇ હતી. સુત્રો અનુસાર મહારાષ્ટ્રની ઘટનાથી ડરેલી ભાજપે ઝારખંડમાં ચૂંટણી લડી અને કોઇ દળ સાથે ગઠબંધન કર્યુ નહતું. મહત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં ભાજપે શિવસેના સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી લીધી હતી.
આદિવાસી ચહેરો નહતો
ઝારખંડમાં 26.3 ટકા વસ્તી આદિવાસીઓની છે અને 28 બેઠક આદિવાસીઓ માટે અનામત છે. મહાગઠબંધને જેએમએમના આદિવાસી નેતા હેમંત સોરેનને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા હતા, બીજી તરફ ભાજપ તરફથી ગેર આદિવાસી સમુદાયથી આવનારા રઘુબર દાસને ફરી સીએમ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ઝારખંડના આદિવાસી સમુદાયમાં રઘુબર દાસની નીતિઓને લઇને આદિવાસીઓમાં ગુસ્સો હતો. આદિવાસીઓનું માનવુ હતું કે રઘુબર દાસે પોતાના 5 વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી વિરોધી નીતિ બનાવી હતી. ખુંટીની યાત્રા દરમિયાન રઘુબર દાસ ઉપર આદિવાસીઓએ જૂતા અને ચપ્પલ ફેક્યા હતા. સુત્રોની માનીએ તો આદિવાસી સમુદાયમાંથી આવનારા અર્જૂન મુંડાને આ વખતે સીએમ બનાવવાની માંગ ઉઠી હતી પરંતુ ભાજપના ટોપના નેતૃત્વએ રઘુબર દાસ પર દાવ લગાવ્યો હતો જે ઉંધો પડી ગયો હતો.