દેવાસ: મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં રુંવાડા ઉભા કરી નાંખનારી ઘટના બની છે. અહીં એક આખો હસતો રમતો પરિવાર એક જ અઠવાડિયામાં કોરોનાને કારણે ખતમ થઈ ગયો છે. સાસુ, જેઠ અને પતિના કોરોનાને કારણે નિધન થયા બાદ પૂત્રવધૂએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. પરિવારમં હવે માતમ મનાવવા માટે પણ કોઈ નથી બચ્યું!
હૃદયને હચમચાવી દેતો આ બનાવ દેવાસ અગ્રવાલ સમાજના અધ્યક્ષ બાલકિસન ગર્ગના ઘરે બન્યો છે. સૌથી પહેલા તેમના પત્ની ચંદ્રકલા (ઉં.વ. 75)ને કોરોના થયો હતો. 14મી એપ્રિલના રોજ તેમનું નિધન થયું હતું. તેના બે દિવસ પછી તેના પુત્ર સંજય (ઉં.વ. 51) અને સ્વપ્નેશ (ઉં.વ. 48)નું નિધન થયું હતું.
આ બનાવનો આઘાત તેની નાની પુત્રવધૂ સહન કરી શકી ન હતી. રેખા (ઉં.વ. 45)એ બુધવારે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. એટલે કે ફક્ત એક જ અઠવાડિયામાં આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. પરિવારમાં હવે બાલકિસન ગર્ગ, તેમની મોટી પુત્રવધૂ અને પૌત્ર-પોત્રીઓ વધ્યા છે.
આપઘાતના સમાચાર બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધારે તપાસ કરી રહી છે.
મધ્ય પ્રદેશના ભોપાલમાં સતત કોરોનાથી મોતના આંકડા વધી રહ્યા છે. સરકારી ચોપડે ખૂબ ઓછા આંકડા સામે આવી રહ્યા છે. બીજી તરફ જો શહેરના મુખ્ય સ્મશાનના આંકડા તપાસવામાં આવે તો કંઈક નવી જ તસવીર સામે આવે છે.
21 જાન્યુઆરીના રોજ અહીં 138 મૃતદેહના પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર થયા હતા. જ્યારે સરકારી ચોપડે ફક્ત પાંચ મોત બતાવવામાં આવ્યા છે. 20 એપ્રિલના રોજ 148 મૃતદેહના કોવિડ પ્રોટોકોલ પ્રમાણે અંતિમ સંસ્કાર થયા હતા.