Modi 3.0નું એક વર્ષ પૂર્ણ, સરકાર લાવશે સિદ્ધિઓનો વિઝન ડોક્યુમેન્ટ
Modi Govt: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે તેના 11 વર્ષ પૂર્ણ કર્યા છે. આ પ્રસંગે સરકાર અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ મળીને દેશભરમાં એક વિશાળ જનસંપર્ક અભિયાન શરૂ કરવાની યોજના બનાવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છેલ્લા એક વર્ષ તથા આખા 11 વર્ષ દરમિયાન થયેલી મુખ્ય સિદ્ધિઓને દેશની જનતા સુધી પહોંચાડવાનો છે.
Modi Govt: બુધવારે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અભિયાનની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ (મોદી 3.0)ના પણ 1 વર્ષ 9 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યા છે. એટલે કે, આ ડબલ માઇલસ્ટોનને યાદગાર બનાવવા માટે વિશિષ્ટ વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે.
દરેક મંત્રાલયને સોંપાઈ વિશિષ્ટ જવાબદારી
પ્રધાનમંત્રીએ તમામ મંત્રીઓને આદેશ આપ્યો છે કે તેઓ પોતપોતાના મંત્રાલયની છેલ્લા એક વર્ષ અને 11 વર્ષ દરમિયાનની સિદ્ધિઓનો વિગતવાર અહેવાલ તૈયાર કરે. આ સાથે સોશિયલ મિડિયા, પ્રેસ કોન્ફરન્સ અને અન્ય માધ્યમો દ્વારા આ સિદ્ધિઓના પ્રચાર-પ્રસારની પણ તૈયારી કરવા જણાવ્યું છે.
તૈયાર થશે વિશેષ બુકલેટ
સરકારની સિદ્ધિઓનું વિસ્તૃત દસ્તાવેજીકરણ કરીને એક વિશેષ બુકલેટ તૈયાર કરવામાં આવશે. આ બુકલેટમાં દરેક મંત્રાલયના મુખ્ય કાર્યો, યોજનાઓ અને તેમના અસરકારક અમલનું સંક્ષિપ્ત રજૂઆત કરવામાં આવશે. આ બુકલેટ જનતા, મીડિયા અને પાર્ટી કાર્યકરો સુધી પહોંચાડી દેવામાં આવશે.
અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાશે
આ મહા અભિયાન અંતર્ગત સરકાર અને ભાજપ દ્વારા અનેક જનસભાઓ, મીડિયા સંવાદ, ચર્ચા સત્રો અને સોશિયલ મીડિયા કેમ્પેઇન હાથ ધરાશે. પાર્ટી કાર્યકરોને ગામડાંથી શહેર સુધી આ માહિતી પહોંચાડવાની જવાબદારી આપવામાં આવશે.
આ અભિયાન દ્વારા ભાજપે 2024 લોકસભા ચૂંટણીમાં પ્રાપ્ત ભવ્ય વિજય બાદ શરૂ થયેલા મોદી 3.0 કાર્યકાળની સફળતા અને અગાઉના 10 વર્ષોની વિકાસયાત્રાને વધુ પ્રભાવશાળી રીતે જનતાસમક્ષ રજૂ કરવાની તૈયારી કરી છે.