નવી દિલ્હીઃ કોરોના સામે લડવા માટે સરકારે કોરોના રસીકરણનું હથિયાર ઉગામ્યું છે. દેશમાં રસીકરણ અભિયાન ચાલું છે. ત્યારે રસીકરણ દરમિયાન લોકો પાસેથી દસ્તાવેજ માંગવામાં આવે છે પરંતુ રસીકરણ અંગે એક મોટા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જિલ્લા કર્મચારીઓ માટે એસઓપી જારી કરી છે. આમાં, જે લોકો પાસે ફોટો આઇકાર્ડ નથી તેઓનું CoWIN પર રજીસ્ટ્રેશન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોરોના સામેના તમામ રસીકરણને સોફ્ટવેર પર રજીસ્ટર કરવામાં આવશે. આ માટે માન્ય ઓળખકાર્ડ આવશ્યક છે.
કેન્દ્રએ કહ્યું હતું કે માન્ય ઓળખકાર્ડ ધરાવતા અનેક સમૂહોની ઓળખ કરવામાં આવશે, જે આ સમૂહોના રસીકરણ માટેનું કેન્દ્ર બિંદુ હશે. કેન્દ્રએ એમ પણ કહ્યું છે કે જેલ સત્તાધીશો અને વૃદ્ધાશ્રમના અધિકારીઓ મુખ્ય સૂત્રધાર તરીકે કાર્ય કરી શકે છે.
કેન્દ્રએ ફોટો ઓળખકાર્ડ વિના રસીકરણ માટે લોકોના અનેક સમૂહોની ઓળખ કરી છે. લોકોના આવા સમૂહોમાં ભકતો (વિવિધ ધર્મોના સાધુઓ / સંતોનો સમાવેશ થાય છે), જેલના કેદીઓ, માનસિક આરોગ્ય સંસ્થાઓમાં કેદીઓ, વૃદ્ધાશ્રમના લોકો, ભિખારીઓ, પુનર્વસન કેન્દ્રોમાં રહેનારા લોકોનો સમાવેશ થાય છે. જેની પાસે સૂચિત ફોટો ઓળખકાર્ડ નથી તેમને રસી પણ આપવામાં આવશે.
રસીકરણ માટે ફોટો ઓળખ કાર્ડ તરીકે આધારકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ અને પેન્શન દસ્તાવેજો માન્ય છે. મંત્રાલયને રાજ્ય સરકારો તરફથી એવા લોકો વિશે અનેક અરજીઓ મળી છે કે જેમની પાસે આમાંથી કોઇ દસ્તાવેજ એક પણ નથી. મંત્રાલયે કહ્યું, “કોવિડ -19 રસીકરણ સેવાઓ ઓળખ પુરાવાના અભાવના કારણે નકારી શકાતી નથી.”આ લોકોની રસીકરણ ફક્ત સરકારી કેન્દ્રોમાં જ કરવામાં આવશે. લાભાર્થીઓની ઓળખને વેરિફાય કરવા માટે પ્રમૂખ સૂત્રધારની જરૂર પડશે.
કોવિડ -19 રોગચાળાની બીજી લહેરના આગમન સાથે, જેલ અધિકારીઓએ કેદીઓમાં ઝડપથી સંક્રમણ ફેલાવાનો મુદ્દો ઉઠાવ્યો છે. તિહાર જેલના લગભગ 319 કેદીઓને કોવિડ -19 નો ચેપ લાગ્યો છે. ચેપથી અત્યાર સુધીમાં પાંચ કેદીઓનાં મોત નીપજ્યાં છે. ડાયરેક્ટર જનરલ (જેલ), સંદિપ ગોયલે આ માહિતી આપી છે.
કેરળ સરકારે જેલોમાં સોશિયલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરવા કેદીઓને બે અઠવાડિયાની પેરોલ આપવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મેરઠમાં લગભગ 280 કેદીઓ પણ જામીન અથવા પેરોલ પર મુક્ત થશે.