દિલ્હીમાં થયેલા નિર્ભયા કાંડના 4 ગુનેગારોમાંથી એક અક્ષય ઠાકુરની રિવ્યૂ પિટિશન પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી આજે પૂર્ણ થઈ ગઈ છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેએ આ મામલે પોતાને સુનાવણીથી અલગ કરી દીધા છે. આથી જસ્ટિસ ભાનુમતિની અધ્યક્ષતા વાળી ખંડપીઠ આ મામલે સુનાવણી હાથ ધરી હતી. પીઠના અન્ય જજોમાં અશોક ભૂષણ અને જસ્ટિસ બોપન્ના છે. આ પીઠે આરોપી અક્ષયની દયાની અરજી ફગાવતા જણાવ્યું કે, તપાસ અને ટ્રાયલમાં કોઈ ખામી નથી. આથી પુનર્વિચારનો કોઈ અર્થ નથી.
અગાઉ કોર્ટમાં દલીલો કરતા અક્ષયના વકીલ એપી સિંહે જણાવ્યું કે, જ્યારે દેશમાં દયાની અરજી દાખલ થયા બાદ પણ આટલા લોકોની ફાંસી પેન્ડિંગ છે, તો અક્ષયને જ લટકાવવાની ઉતાવળ કેમ થઈ રહી છે? આ રાજકીય, મીડિયા અને સામાજિક દબાણના કારણે થઈ રહ્યું છે.
વકીલે મુખ્ય સાક્ષી અમરિન્દર પાંડે પર પણ સવાલ ઉઠાવ્યો અને જણાવ્યું કે, તેમના પુરાવા અને રજૂઆત અવિશ્વસનીય છે. જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે ચર્ચા માટે બન્ને પક્ષોને 30-30 મિનિટનો સમય આપ્યો હતો.
આરોપીના વકીલ એપી સિંહે TIP એટલે કે ટેસ્ટ ઈન પરેડ પર પણ સવાલ ઉઠાવ્યા. જસ્ટિસ ભાનૂમતિએ જણાવ્યું કે, આ પોઈન્ટને ટ્રાયલમાં કન્સિડર કરવામાં આવી હતી? વકીલે વેદ પુરાણોનો પણ પોતાની દલીલોમાં ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ જણાવ્યું કે, ગરીબીના કારણે આરોપીને ફાંસીની સજા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત અક્ષયના વકીલે તપાસ પર પણ સવાલ ઉઠાવ્યા અને તિહાડ જેલના જેલર સુનિલ ગુપ્તાના પુસ્તકનો ઉલ્લેખ કરતા રામ સિંહની આત્મહત્યા પર પણ સવાલ ઉભા કર્યા હતા. જેનો જવાબ આપતા જસ્ટિસ બોપન્નાએ જણાવ્યું કે, ટ્રાયલ બાદ જો કોઈ પુસ્તક લખે, તો તે ખતરનાક ટ્રેન્ડ છે. ટ્રાયલ દરમિયાન કહેવામાં આવતી વાતો પછીથી લખવાનો કોઈ અર્થ નથી.
જણાવી દઈએ કે, ફાંસીની સજા પ્રાપ્ત ચારેય આરોપીઓમાંથી એક અક્ષય ઠાકુરે સર્વોચ્ચ અદાલતમાં દયાની અરજી કરી હતી. મંગળવારે સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં નિર્ભયાના માતા-પિતા હાજર રહ્યા હતા. 10 મિનિટની સુનાવણી બાદ તેને બુધવાર સુધી ટાળવામાં આવી હતી. બીજી તરફ નિર્ભયાના ગુનેગારોને એક મહિનાની અંદર ફાંસી પર લટકાવવાની માંગની અરજી પર પણ સુનાવણી ટાળી દેવામાં આવી છે. આ મામલે સંજીવ કુમારે અરજી કરી હતી.
નિર્ભયાની માતાએ કોર્ટના નિર્ણયનું કર્યું સ્વાગત
કોર્ટના નિર્ણય પર નિર્ભયાની માતાએ ખુશી વ્યક્ત કરી છે. નિર્ભયાની માતા આશાદેવીએ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે.
આ જધન્ય કાંડે સમગ્ર દેશમાં ખળભળાટ મચ્યો હતો. તમામ 6 આરોપીઓમાં એક સગીર હતો. જેને રિમાન્ડ હોમ મોકલવામાં આવ્યો, જ્યારે અન્ય એક આરોપીને તિહાર જેલમાં આત્મહત્યા કરી હતી.