પ્રાચિન સમયમાં કામરુપ દેશ તરીકે ઓળખાતા આસામ રાજયનું MAYONG ગામ દેશમાં કાળા જાદૂની ધરતી તરીકે ઓળખાય છે.નવાઇની વાત તો એ છે કે આ ગામના લોકોની રોજગારીનું મુખ્ય સાધન જાદૂ ટોણા છે.ગામમાં દરેક ઘરે એક વ્યકિત જાદૂટોણાનો વ્યવસાય કરે છે. ગૌહાટીથી ૪૦ કીમી દૂર આવેલા માયોગમાં ૧૦૦ થી પણ વધુ જાદૂગરો રહે છે.આ ગામના જાદૂગરો વિશે એવું પણ માનવામાં આવે છે કે તેઓ હવામાં અલોપ થઇ જવાની કળા પણ જાણે છે.સ્થાનિક જાણકારો આજે પણ માને છે કે તેઓ હિંસક પ્રાણીઓને પણ સંમોહન દ્વારા પાલતું બનાવી દે છે.એટલું જ નહી માણસને બકરી કે કુતરો જેવા પાલતુ પ્રાણી બનાવી દેવાની કળા પણ જાણે છે.આસામના આ રહસ્યમયી માયોંગ ગામના લોકો આજકાલથી નહી સદીઓથી જાદૂ ટોણાની વિધામાં પારંગત હોવાનું માનવામાં આવે છે.
ગામના લોકો પેઢી દર પેઢી જાદૂઇ વિધાનું જ્ઞાન આપતા હોવાથી આ કળા જીવંત રહી છે.પ્રાચિન જમાનામાં રાજવીઓ માયાવી યુદ્ધથી દુશ્મનને પરાસ્ત કરવાની વિધા શીખવા આ ગામમાં આવતા હતા.ગામમાં રહેતા મેલી વિધાના જાણકારો માને છે કે શબ્દોના પ્રભાવથી જ શકિત ઉભી થાય છે. લુકી મંત્ર,ઉડાન મંત્ર એમ દરેક મંત્રને પોતાની આગવી તાકાત હોય છે.આ જાદુગરો ગૌહાટી શહેર પાસે નિલાંચલ પર્વતની ટોચ પર આવેલા કામાખ્યા દેવીના મંદિરમાં ખૂબ જ માને છે. અહીં એક મોટો મેળો ભરાય છે જેમાં દેશ ભરમાંથી અનેક તાંત્રિકો ભાગ લે છે.પબિત્રા સેન્ચ્યુરી પાર્ક નજીક આવેલા માયોંગ ગામની કેટલાક પ્રવાસીઓ કુતુહલ ખાતર મુલાકાત લે છે. ઇસ ૨૦૦૨માં જાદૂ ટોણાની પરંપરા સાથે જોડાયેલી અનેક ચીજવસ્તુઓનું નિદર્શન અને માહિતી આપતું મ્યૂઝિયમ ખોલવામાં આવ્યું છે.આ મ્યુઝિયમમાં જાદુ કળાની અનેક ઐતિહાસિક યાદો જોડાયેલી છે. જાદૂના રસિયાઓ જૂના પ્રાચિન પુસ્તકો તથા કાળા જાદૂને લગતી સામગ્રીની શોધમાં આવે છે. માયોંગમાં આવેલા ૪ મીટર લાંબા ખડક પર કશુંક કોતરેલું છે જે આજ સુધી કોઇ ઉકેલી શકયું નથી.