સરકારના પ્રયાસો છતાં દેશમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનથી બે સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. આ બંને દર્દીઓ કર્ણાટકમાં જોવા મળ્યા છે.
ભારત સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. આરોગ્ય મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ને ટાંકીને કહ્યું છે કે કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા 5 ગણું વધુ ખતરનાક છે અને બાકીના કરતા વધુ ઝડપથી ફેલાઈ શકે છે.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી 29 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. WHOએ તેને વેરિયન્ટ ઑફ કન્સર્નની શ્રેણીમાં રાખ્યું છે. આ પ્રકારથી સંક્રમિત દર્દીની પ્રથમ દક્ષિણ આફ્રિકામાં ઓળખ કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દર્દીઓની ગોપનીયતાના રક્ષણ માટે તેમની ઓળખ જાહેર કરવામાં આવશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે બંને દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને ટ્રેસ કરવામાં આવ્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે.
ઓમિક્રોન વેરિએન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો અને ત્યારથી તે લગભગ 29 દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધીમાં તેના ટોટલ 373 કેસ પણ સામે આવી ચૂક્યા છે. ભારત સરકારે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય મુસાફરો તરફથી નવા પ્રકારના વેરિએન્ટને ફેલાવાને રોકવા માટે કડક પગલાં અમલમાં મૂક્યા છે.