ભારતના સૌથી મોટા પંજાબ નેશનલ બેન્કના 14,000 કરોડ રૂપિયાના કૌભાંડમાં ભારતને મોટી સફળતા મળી છે. આ કૌભાંડના મુખ્ય આરોપી ભાગેડુ લોન ડિફોલ્ટર નીરવ મોદીના બહેન પૂર્વ મોદી ઉર્ફે પૂર્વી મહેતાએ પોતાના બ્રિટનના ખાતામાંથી 17 કરોડ રૂપિયા ભારત સરકારને પરત મોકલી દીધા છે. ઉલ્લેખનીય છે કે આ કેસની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની શરતે પૂર્વી મહેતા અને તેમના પતિ મયન્ક મહેતાને આ કેસમાં માફી આપવામાં આવી હતી.
પંજાબ નેશનલ બેંક કૌભાંડ (પીએનબી કૌભાંડ) કેસમાં નીરવ મોદીની બહેન અને સરકારી સાક્ષી પૂર્વીએ તેના બ્રિટનનાં બેંક ખાતામાં પડેલા રૂ. 17.25 કરોડ ભારત સરકારને મોકલ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ માહિતી આપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ ગુરૂવારે કહ્યું કે ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની બહેનએ બ્રિટનના બેંક ખાતામાંથી ભારત સરકારને 17.25 કરોડ રૂપિયા મોકલ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વી મોદીને સંપૂર્ણ અને સાચી જાહેરાતની શરતોને આધારે માફી આપવામાં આવી હોવાથી, તેમણે બ્રિટનના બેંક ખાતામાંથી 23,16,889.03 ડોલરની રકમ ભારત સરકાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના બેંક ખાતામાં જમા કરાવી દીધી છે. નિવેદનનાં અનુસાર, પૂર્વી મોદીના આ સહયોગથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ લગભગ 17.25 કરોડ રૂપિયા (23,16,889.03 ડોલર) પાછા મેળવી શક્યું છે.
પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડીના કેસમાં મદદના બદલામાં કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું કે 24 જૂને પૂર્વી મોદીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જાણ કરી કે તેમને લંડન, બ્રિટનમાં તેમના નામે બેંક ખાતા અંગેની જાણ થઇ છે, જે તેમના ભાઇ નીરવ મોદીના કહેવા પર ખોલવામાં આવું હતું અને તે પૈસા તેમના નથી.