ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત બગડી રહી છે. સ્થિતિ નાજુક છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે કહ્યું કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. આપને જણાવી દઇએ કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની સ્થિતિમાં સવારથી કોઇ ફેરફાર નથી. તેઓ કોમામાં છે. અત્યારે તેઓ સતત વેન્ટિલેટર પર છે.
84 વર્ષના મુખર્જીને સોમવારના રોજ સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બ્રેન સર્જરી પહેલાં તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.
ડૉકટર્સનું કહેવું છે કે મંગળવારના રોજ પૂર્વ રાષ્ટ્રપતિની તબિયત લથડી અને તેમની સ્થિતિમાં કોઇ સુધારાના લક્ષણ દેખાતા નહોતા. પૂર્વ રાષ્ટ્રપતિના દિકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પિતાના સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરી. તેમણે ટ્વીટ કરી કે ગયા વર્ષે 8 ઓગસ્ટના રોજ મારા માટે સૌથી પ્રસન્નતાના દિવસોમાંથી એક હતો. જ્યારે મારા પિતાને ભારત રત્ન મળ્યો હતો. બરાબર એક વર્ષ બાદ 10 ઑગસ્ટના રોજ તેઓ ગંભીર રીતે બીમાર થઇ ગયા.