રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સોમવારે કહ્યું કે ચલણમાં રહેલી રૂ. 2,000ની નોટોમાંથી લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે અને હવે લોકો પાસે માત્ર રૂ. 9,330 કરોડની નોટો બચી છે. RBIએ ગયા વર્ષે 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે, 19 મે, 2023ના રોજ કારોબાર બંધ સમયે રૂ. 2,000ની નોટોનું કુલ મૂલ્ય રૂ. 3.56 લાખ કરોડ હતું, જે હવે 29 ડિસેમ્બર, 2023ના રોજ કારોબાર બંધ થતાં ઘટીને રૂ. 9,330 કરોડ થઈ ગયું છે. નિવેદન
આમ, 19 મે, 2023ના રોજ, ચલણમાં રહેલી કુલ રૂ. 2,000ની 97.38 ટકા નોટો બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી છે. જો કે, સેન્ટ્રલ બેંકે કહ્યું કે 2,000 રૂપિયાની નોટ હજુ પણ લીગલ ટેન્ડર છે. આ નોટો સમગ્ર દેશમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓની મુલાકાત લઈને બદલી અથવા જમા કરી શકાય છે. આ સિવાય લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી કોઈપણ RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે.
આ નોટોને ચલણમાંથી પાછી ખેંચતી વખતે, આરબીઆઈએ આ નોટોને 30 સપ્ટેમ્બર સુધીમાં એક્સચેન્જ કરવા અથવા બેંક ખાતામાં જમા કરાવવા માટે કહ્યું હતું. બાદમાં સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી. 8 ઓક્ટોબરથી, લોકો RBIની 19 ઓફિસમાં જઈને રૂ. 2,000ની નોટ બદલી કે જમા કરાવી શકશે. જેના કારણે આ ઓફિસોમાં કામકાજના સમય દરમિયાન સારી એવી ભીડ જોવા મળે છે.
RBIની આ ઓફિસો અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે. નવેમ્બર 2016માં હાલની રૂ. 1,000 અને રૂ. 500ની નોટોને બંધ કર્યા બાદ, આરબીઆઈએ રૂ. 2,000ની નોટ જારી કરી હતી.