17 જાન્યુઆરી 2020ના રોજ IRCTCની મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન (નંબરઃ 09426/09425) તેની પહેલી યાત્રા કરશે. ત્યાર પછી 19 જાન્યુઆરી 2020થી તે નિયમિત દોડતી થઈ જશે. આ ટ્રેન દેશની બીજી ખાનગી રીતે સંચાલિત ટ્રેન છે. તેનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ પ્રવાસીઓને સ્પેશિયલ ટ્રાવેલ એક્સપિરિયન્સ કરાવશે તે નિશ્ચિત છે.
મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અઠવાડિયાના છ દિવસ દોડશે. ટ્રેનની ટિકિટ બુક કરાવતી વખતે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જેમ કે, ટ્રેનનું ભાડું તહેવાર, મુસાફરોનો ધસારો વગેરેને ધ્યાનમાં રાખીને સમયે સમયે બદલાતું રહેશે. સામાન્ય રીતે ટ્રેનમાં યાત્રી 120 દિવસ પહેલા ટિકિટ રિઝર્વ કરાવી શકે છે. પરંતુ તેજસ એક્સપ્રેસમાં આ ગાળો 60 દિવસનો હશે.
ટિકિટ કેન્સલેશન કરાવવા માટેના નિયમો નીચે મુજબ છે.
તમે વેઈટ લિસ્ટમાં હોય તેવી ટિકિટ ટ્રેનના ચાર કલાક પહેલા કેન્સલ કરાવશો તો ટિકિટ દીઠ રૂ. 25નો ચાર્જ કપાશે. બાકીની રકમ તમને IRCTC ઓનલાઈન રિફંડ કરી દેશે. એસી ક્લાસમાં ટિકિટ દીઠ રૂ. 65 કપાશે.
ટ્રેનનો ચાર્ટ તૈયાર થઈ જાય પરંતુ પ્રવાસીને કોઈ ટિકિટ ન મળી હોવાથી તે કેન્સલ કરાવશે તો કોઈ પણ પ્રકારના ચાર્જ વિના પ્રવાસીને ફૂલ રિફંડ આપી દેવામાં આવશે. આવા કેસમાં એસી. ક્લાસ પેસેન્જરની ટિકિટમાંથી ભારતીય રેલવે રૂ. 65 કાપી લે છે. ચાર્ટ તૈયાર થઈ ગયો હોય અને ટ્રેન ઉપડવાને 30 મિનિટની વાર હોય ત્યારે તમે પાક્કી કન્ફર્મ ન થઈ હોય તેવી ટિકિટ કેન્સલ કરાવો તો કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહિ.
આ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને IRCTC રૂ. 25 લાખ સુધીનું રેલ ટ્રાવેલ ઈન્શ્યોરન્સ સાવ મફતમાં આવશે. ટ્રાવેલ દરમિયાન તમારો સામાન ખોવાઈ જાય, લૂંટ થાય તો તમને રૂ. 1 લાખનું કવરેજ પણ મળશે. ટ્રેન 1 કલાકથી મોડી પડે તો IRCTC રૂ. 100 અને બે કલાક કરતા મોડી પડે તો પેસેન્જર દીઠ રૂ. 250નું વળતર આપશે. કોઈ કારણસર ટ્રેન કેન્સલ થઈ તો ટિકિટનું પૂરેપૂરુ રિફંડ તમને મળી જશે. ગ્રાહકોએ આવા કેસમાં ટિકિટ કેન્સલ કરવાની કે TDR ફાઈલ કરવાની જરૂર નહિ પડે.