કોરોના મહામારી વચ્ચે લાંબા સમય સુધી કેન્દ્ર સરકારે કરેલા લોકડાઉનના પગલે કરોડો લોકોને આર્થિક ફટકો લાગ્યો છે જ્યારે બીજી તરફ કોરોનાના કેસોમાં બહુ જ મોટો ઉછાળો થઇ રહ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને લોકડાઉન અને તેની અસરો મુદ્દે ફટકાર લગાવી હતી. સાથે સરકારને ટકોર કરતા કહ્યું હતું કે તમે પુરા ભારતને લોકડાઉન કરી દીધુ હતું હવે લોકોને તમે જ રાહત આપો. ઇએમઆઇ ભરવામાં તો કેન્દ્રએ વધુ સમય આપ્યો હતો પણ સાથે વ્યાજ વસુલી પણ જારી રાખી હતી તેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી હતી.
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે તમે રિઝર્બ બેંકની પાછળ ન છુપાઇ શકો, તમે પુરા દેશને બંધ કર્યો હતો હવે લોકોને રાહત આપવાની જવાબદારી પણ તમારી છે. લોન મોરેટોરિયમના સમયગાળામાં વ્યાજ પર છુટ મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે આ ફટકાર લગાવી હતી. કેન્દ્ર સરકારે દાવો કર્યો કે વ્યાપાર અને બેંકો પ્રભાવીત થઇ શકે છે. જેના જવાબમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવંુ એટલા માટે થઇ રહ્યું છે કેમ કે તમે પુરા દેશને બંધ કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને સાથે કહ્યું હતું કે પહેલી સપ્ટેમ્બર સુધીમાં પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવામાં આવે.
સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે કેન્દ્ર પાસે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત પુરતા અધિકારો હોવા છતા તમે પોતાનો મત સ્પષ્ટ નથી કરી શક્યા. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે એક જ સમાધાન બધા માટે ન હોઇ શકે. જેના જવાબમાં કોર્ટે કહ્યું કે તમે માત્ર વ્યાપારમાં રસ ન દાખવી શકો, લોકો જે પીડાઓ ભોગવી રહ્યા છે તેના વિશે પણ તમારે જાણવું પડશે. મામલાની સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અશોક ભુષણે કહ્યું કે હાલ દેશમાં જે સમસ્યા ઉભી થઇ છે તે તમારા લોકડાઉનને કારણે થઇ છે. આ સમય માત્ર વ્યાપાર અંગે વિચાર કરવાનો નથી. લોકોની દુર્દશા અંગે પણ વિચારો. કેન્દ્ર સરકારે લોકોને ઇએમઆઇ બાદમાં ભરવાની છુટ આપી હતી પણ વ્યાજ વસુલવામાં આવી રહ્યા છે. જેથી સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી હતી અને લોકોની પિડાઓને સમજવાની સલાહ આપી હતી.