ઉદયપુરના ટેલર કન્હૈયાલાલ મર્ડર કેસની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આ ઘૃણાસ્પદ ષડયંત્રના નવા નવા રહસ્યો સામે આવી રહ્યા છે. તપાસમાં હવે જાણવા મળ્યું છે કે જે દિવસે કન્હૈયાલાલનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી તે જ દિવસે વધુ બે લોકોને તાલીબાની રીતે મારવાની યોજના હતી. પરંતુ બંનેની રેકી યોગ્ય રીતે ન કરી શકવાના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આ બે લોકોની હત્યા માટે અન્ય ચાર લોકોને જવાબદારી સોંપવામાં આવી હતી. NIA આ મામલે તપાસ કરી રહી છે.
તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલની હત્યાના કાવતરાને મોટું સ્વરૂપ આપવાની તૈયારી ચાલી રહી હતી. આ માટે એક જ દિવસમાં ત્રણ લોકોની તાલિબાની રીતે હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. કાવતરાખોરો રેકી કરીને કન્હૈયાલાલની હત્યા કરવામાં સફળ થયા, પરંતુ અન્ય બે લોકોની યોગ્ય રેકીના અભાવે, તેમની યોજના પૂર્ણ થઈ શકી નહીં અને બે લોકોના જીવ બચી ગયા.
હત્યાનો પ્લાન 20 જૂને નક્કી કરવામાં આવ્યો હતો
તપાસમાં એ વાત સામે આવી છે કે આ આખું ષડયંત્ર નૂપુર શર્મા વિશે સોશિયલ મીડિયા પર થયેલી ટિપ્પણીઓ બાદ તૈયાર કરવામાં આવ્યું હતું. 17મી જૂને કાવતરાખોરોએ હત્યાના કાવતરા અંગે મીટિંગ કરી હતી. બાદમાં 20 જૂને ઉદયપુર કલેક્ટર કચેરી ખાતે નૂપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન પછી, શહેરના મુખર્જી સર્કલ ખાતે રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદ સાથે હત્યાના કાવતરામાં સામેલ પસંદગીના લોકોની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેવી રીતે અને ક્યાં હત્યા કરવી તેની ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે બાદ 28 જૂને ષડયંત્રને અંજામ આપવામાં આવ્યો હતો.
રિયાઝે કાનપુરથી 6 ચાકુ મંગાવ્યા હતા
અગાઉ રિયાઝે કાનપુરથી 6 ચાકુ મંગાવ્યા હતા. આ છરીઓ ઉદયપુરની એસકે એન્જિનિયરિંગ ફેક્ટરીમાં ધારદાર કરવામાં આવી હતી. ફેક્ટરીમાં પણ બે છરીઓ અલગથી બનાવવામાં આવી હતી. આ છરીઓ સરતાજે કાનપુરથી મોકલી હતી. સરતાજ દાવત-એ-ઈસ્લામી સાથે સંકળાયેલો છે. NIAની ટીમ કાનપુરમાં સરતાજને શોધી રહી છે. કન્હૈયાલાલની સાથે, જે ચાર લોકોને વધુ બે લોકોની હત્યાની જવાબદારી સોંપવામાં આવી હતી, તેમની પણ NIAએ ઘરપકડ કરી છે.