પુલવામા, ઉરી અને મુંબઇ હુમલા સહિત ભારતમાં અનેક હુમલાઓનો માસ્ટરમાઇન્ડ આતંકી હાફિઝ સઇદને લઇને મોટી ખબર સામે આવી રહી છે. હાફિઝને પાકિસ્તાનમાં ઝડપી પાડવામાં આવ્યો છે. તેને હાલ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યો છે. ટેરર ફંડિંગ મામલે પંજાબ પોલીસના આતંકવાદી વિરોધી વિભાગે તેની લાહોરથી ધરપકડ કરી છે. હાલ તેને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવામાં આવ્યો છે.

સીટીડીએ હાફિઝ સઇદ સહિત જમાત-ઉદ-દાવાના 13 નેતાઓ વિરુદ્ધ 23 કેસ નોંધ્યા હતાં. સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે કેસ નોંધાયા બાદ તેની ધરપકડની કાર્યવાહી તેજ થઇ ગઇ હતી. હાફિઝને લાહોરથી ગુજરાંવાલા જતી વખતે સીટીડીએ ઝડપી પાડ્યો છે. તેણે પોતાની ધરપકડ વિરુદ્ધ કોર્ટમાં જવાની વાત કહી છે.

મહત્વપૂર્ણ છે કે, હાફિઝ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. આ ઉપરાંત તેણે ભારતમાં અનેક આતંકવાદી હુમલાની ઘટનાને અંજામ આપ્યો છે. ત્યારે હાફિઝની ધરપકડ પણ અનેક શંકા ઉપજાવી શકે છે. કેમ કે, પાકિસ્તાન સરકાર આઈએસઆઈ અને હાફિઝ જેવા આતંકવાદીઓની શહથી ચાલી રહી છે.
હાફિઝ સઇદને સંગઠન જમાતઉદ-દાવાના લશ્કર-એ-તૈયબાનો મુખ્ય ચહેરો માનવામાં આવે છે. 2008ના મુંબઇ હુમલાનો માસ્ટરમાઇન્ડ પણ સઇદ જ છે. સઇદને ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરવામાં આવ્યો છે. તેના પર 10 મિલિયન અમેરિકન ડોલરનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે