દેશના નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન સમાપ્ત થયું. સાંજે 6 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને થોડા કલાકોમાં પરિણામ આવી જશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે 780માંથી 725 સાંસદોએ મતદાન કર્યું હતું. શાસક પક્ષ બીજેપીના બે સાંસદો- સની દેઓલ અને સંજય ધોત્રે જેઓ તબિયતના કારણોસર મતદાન કરી શક્યા ન હતા. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે કેન્દ્રની NDA સરકારે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખરને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા માર્ગારેટ આલ્વા વિપક્ષ તરફથી ઉમેદવાર છે.
તે જ સમયે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય અભિષેક મનુ સિંઘવી કોરોના વાયરસના ચેપને કારણે PPE કીટ પહેરીને સંસદ ભવન પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બપોરે 2 વાગ્યા સુધીમાં 85 ટકાથી વધુ સાંસદોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંસદના બંને ગૃહોના મળીને કુલ સભ્યોની સંખ્યા 788 છે, જેમાંથી ઉપલા ગૃહની આઠ બેઠકો હાલમાં ખાલી છે. આવી સ્થિતિમાં, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં 780 સાંસદો મતદાન કરવા માટે પાત્ર છે. આ 780માંથી લગભગ 670 સાંસદોએ બપોરે 2 વાગ્યા સુધી મતદાન કર્યું હતું.
વડાપ્રધાન મોદી મતદાન કરનાર પ્રથમ સાંસદોમાં સામેલ હતા. મતદાનની તસવીર શેર કરતાં તેમણે ટ્વિટ કર્યું કે, “2022ની ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કર્યું.” ગૃહમંત્રી અમિત શાહે મતદાન બાદ પોતાની તસવીર શેર કરતા ટ્વીટ કર્યું કે, દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે સંસદમાં મતદાન કર્યું.
કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બપોરે મતદાન કર્યું હતું. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, પાર્ટીના મહાસચિવ જયરામ રમેશ અને મુખ્ય વિપક્ષી દળના અન્ય કેટલાક સાંસદોએ પણ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) પાસે લોકસભામાં સંપૂર્ણ બહુમતી અને રાજ્યસભામાં 91 સભ્યો હોવાને કારણે ધનખરને તેમના હરીફ પર સ્પષ્ટ ધાર છે. તેઓ વર્તમાન ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુનું સ્થાન લે તેવી શક્યતા છે, જેમનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થાય છે.