કોરોના વાયરસ પર WHOએ ફરી એક વખત ચેતવણી આપી છે. લોકોએ કોઇપણ પ્રકારનાં ભ્રમમાં ના રહેવું જોઇએ કે કોરોના વાયરસ એક મોસમી બીમારી છે જે ઋતુ બદલાતા ઓછી થઈ જશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની પ્રવક્તા માર્ગરેટ હૈરિસે કહ્યું કે, કોરોના વાયરસ કોઈ સામાન્ય ઇન્ફ્લૂએન્ઝા જેવો નથી જે ઋતુ બદલવાની સાથે ઓછો થઈ જાય. WHOનાં અધિકારીઓએ હોંગકોંગમાં ફરીવાર કોવિડ-19નાં વધી રહેલા કેસોને લઇને પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ માણસોનાં નિયંત્રણની બહાર છે, જો કે આપણે એક સાથે મળીને આને ફેલાતો રોકી શકીએ છીએ. હૈરિસે કહ્યું કે, “આપણે અત્યારે કોરોના વાયરસની પહેલી લહેરનો સામનો કરી રહ્યા છીએ. આ એક મોટી લહેર બનવાની છે જે ઉપર-નીચે જઇ રહી છે, પરંતુ સૌથી સારી વાત એ છે કે આપણે આ કર્વને ફ્લેટ કરી શકીએ છીએ.”
ગરમીનાં હવામાનમાં અમેરિકામાં કોરોનાનાં વધતા કેસોની તરફ ઇશારો કરતા હૈરિસે કહ્યું કે, આપણે વધારે સતર્ક અને સુરક્ષાનાં નિયમોનું પાલન કરવાની જરૂરિયાત છે. તેમણે લોકોને એક સાથે ભેગા ના થવાની પણ ચેતવણી આપી છે. હૈરિસે કહ્યું કે, લોકો અત્યારે પણ આને મોસમી બીમારી તરીકે જોઇ રહ્યા છે. આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે આ એક નવો વાયરસ છે, જે અલગ રીતે વ્યવહાર કરી રહ્યો છે અને આ વાયરસ દરેક મોસમમાં રહેવાનો છે.
હૈરિસે દક્ષિણ ગોળાર્ધમાં ઠંડી દરમિયાન સામાન્ય મોસમી ફ્લૂની સાથે COVID-19નાં વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. હૈરિસે લોકોથી ફ્લૂની વેક્સિન લગાવવાનો આગ્રહ કરતા કહ્યું છે કે, “જો તમને પહેલાથી જ શ્વાસ લેવાની બીમારી છે તો તમારા સ્વાસ્થ્ય માટે વધારે ખતરનાક થઈ શકે છે.”