અમદાવાદમાં હાર બાદ સોશિયલ મીડિયા પર સંગ્રામ: હાર્દિક પંડ્યાના આઉટ થવા પર મહિકા શર્માએ વગાડી તાળીઓ, વીડિયો વાયરલ થતા ફેન્સ લાલચોળ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હાઈ-વોલ્ટેજ સુપર-8 મેચ માત્ર રમત માટે જ નહીં, પરંતુ મેદાનની બહારની ઘટનાઓને કારણે પણ હેડલાઈન્સમાં રહી છે. દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 76 રને પરાજય થયો તે સમયે સ્ટેન્ડમાં હાજર જાણીતી અભિનેત્રી મહિકા શર્માની એક હરકતે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે રોષ જગાડ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમ માટે હાર્દિક પંડ્યા ક્રીઝ પર હતો ત્યારે આશા જીવંત હતી. 15મી ઓવરના પ્રથમ બોલ પર કેશવ મહારાજ સામે હાર્દિકે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સીધો બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. હાર્દિકના આઉટ થતા જ સ્ટેડિયમમાં સોપો પડી ગયો હતો, પરંતુ કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો મુજબ, અભિનેત્રી મહિકા શર્મા હાર્દિકના ડિસમિસલ પર જોરશોરથી તાળીઓ વગાડતી જોવા મળી હતી.
આ ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો. ભારતીય ફેન્સનું માનવું છે કે જ્યારે આખી ટીમ મુશ્કેલીમાં હતી અને એક મહત્વનો ખેલાડી આઉટ થયો, ત્યારે આ પ્રકારની પ્રતિક્રિયા દેશદ્રોહ સમાન અથવા ખેલાડીનું અપમાન છે.
હાર્દિક પંડ્યાનો ‘ફ્લોપ શો’: બેટ અને બોલ બંનેમાં નિષ્ફળ
આ વિવાદ પાછળનું એક કારણ હાર્દિક પંડ્યાનું કથળતું પ્રદર્શન પણ છે. ઓલરાઉન્ડર તરીકે ટીમમાં મોટી ભૂમિકા ભજવનાર હાર્દિક આ મેચમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો હતો:
બેટિંગ: સાતમા ક્રમે ઉતરેલા હાર્દિકે 17 બોલમાં માત્ર 18 રન બનાવ્યા હતા. જ્યારે ટીમને મોટા રન રેટની જરૂર હતી, ત્યારે તે દબાણ સહન કરી શક્યો નહીં.
બોલિંગ: 4 ઓવરના સ્પેલમાં હાર્દિકે 45 રન લૂંટાવ્યા અને એક પણ વિકેટ ઝડપી શક્યો નહીં.
પંડ્યાના આ પ્રદર્શનથી ફેન્સ પહેલેથી જ નારાજ હતા, તેમાં મહિકા શર્માના રિએક્શને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો મારો
ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ પર મહિકા શર્માને જોરદાર ટ્રોલ કરવામાં આવી રહી છે. ફેન્સે તેને ‘એટેન્શન સીકર’ ગણાવી છે. ઘણા યુઝર્સ લખી રહ્યા છે કે, “જ્યારે દેશની ટીમ હારતી હોય ત્યારે તમે ભારતીય હોવા છતાં કેવી રીતે તાળીઓ વગાડી શકો?” બીજી તરફ, કેટલાક લોકોએ હાર્દિક પંડ્યાની ફિટનેસ અને તેના ફોર્મ પર પણ સવાલો ઉઠાવ્યા છે.
seriously… what was mahieka sharma clapping for? i could have understand if hardik was out after playing a good knock but he got out on 18 off 17 balls. pic.twitter.com/jfTZGeGS39
— sigma (@desisigma) February 23, 2026
ભારતીય બેટિંગ વ્યૂહરચના ફરી તપાસ હેઠળ
આ હાર બાદ માત્ર હાર્દિક જ નહીં, પરંતુ સમગ્ર ટીમની બેટિંગ વ્યૂહરચના પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. 188 રનના સ્કોર સામે ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. માર્કો જેન્સન અને કેશવ મહારાજની બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો લાચાર દેખાયા હતા.
