સંકલન સમિતિ બેઠકમાં યોજનાઓ, કાયદો-વ્યવસ્થા અને વિકાસકાર્યો પર મહત્વના નિર્ણય
નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ નાગરિકોના પ્રશ્નોના ઝડપી નિકાલ માટે જિલ્લાની તમામ કચેરીઓમાં અઠવાડિયામાં ફરજિયાત બે દિવસ ‘પબ્લિક ડે’ તરીકે રાખવા આદેશ અપાયા છે. અધિકારીઓએ કયા બે દિવસ પબ્લિક ડે રાખશે તેની યાદી કલેક્ટર કચેરીમાં જમા કરાવવાની રહેશે, જેથી નાગરિકોને ધક્કા ખાવા ન પડે અને અધિકારીઓ સાથે સીધો સંવાદ કરી શકે.
ડાકોર ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી
આગામી ૨૬મી જાન્યુઆરી, ૨૦૨૬ના પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ડાકોરની ભવન્સ કોલેજ ખાતે કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ, આકર્ષક ટેબ્લો અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવશે. કલેક્ટરશ્રીએ ખાસ સૂચના આપી છે કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સ્થાનિક બાળકોને જ પ્રાધાન્ય આપવામાં આવે અને કાર્યક્રમ સ્થળે સફાઈની વિશેષ તકેદારી રાખવામાં આવે.
આવાસ યોજના અને મત્સ્ય ખેડૂતો માટે મહત્વના નિર્ણય
બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ યોજના અને વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૂચના આપી હતી. આ ઉપરાંત, પઘડિયા મત્સ્ય ખેડૂતોને સરળતાથી બેંક લોન મળે તે માટે બેંકો સાથે સંકલન સાધવા જણાવ્યું હતું. જિલ્લામાં ઉદ્યોગકારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે દર અઠવાડિયે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં માર્ગદર્શન બેઠક યોજવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટી શિસ્ત અને સામાજિક જવાબદારી
કલેક્ટરશ્રીએ સરકારી મિલકતોની માલિકી સુનિશ્ચિત કરવા દરેક કચેરીને મિલકત સર્ટિફિકેટ રજૂ કરવા તાકીદ કરી છે. સાથે જ જિલ્લામાંથી બાળ મજૂરી નાબૂદ કરવા અને બાળકોના પુનઃવસન માટે કડક પગલાં લેવા સૂચના આપી છે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકી, પોલીસ અધિક્ષક વિજય પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહી જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા સંકલ્પબદ્ધ થયા હતા.

