ભારત વિશ્વગુરુ બનવાની તક ચૂકી ગયું… ગેસની અછત મુદ્દે અખિલેશ યાદવે સરકારને ઘેરી
ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધની અસર હવે ભારતના રસોડા સુધી પહોંચી છે. યુદ્ધને કારણે દેશમાં LPG ગેસની અછત સર્જાતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું કે, ભારત પાસે ‘વિશ્વગુરુ’ બનવાની સુવર્ણ તક હતી, પરંતુ સરકાર શાંતિની પહેલ કરવામાં નિષ્ફળ રહી છે.
વૈશ્વિક યુદ્ધ અને ભારતની ભૂમિકા પર સવાલો
અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, વર્તમાન યુદ્ધ સંકટ દરમિયાન ભારત પાસે દુનિયાને શાંતિનો સંદેશ આપવાની મોટી તક હતી. જો ભારતે આ સંઘર્ષની ખુલ્લેઆમ નિંદા કરી હોત અને મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવી હોત, તો આજે ભારત ખરા અર્થમાં વિશ્વગુરુ કહેવાત. તેમણે ઉમેર્યું કે ભારતનો ઈતિહાસ હંમેશા યુદ્ધની વિરુદ્ધ અને શાંતિના પક્ષમાં રહ્યો છે, પરંતુ વર્તમાન સરકાર આ દિશામાં કોઈ નક્કર પગલાં ભરી શકી નથી.
હોર્મુઝની ખાડી અને ગેસની કટોકટી
દેશમાં સર્જાયેલી ગેસની અછત અંગે ચિંતા વ્યક્ત કરતા સપા પ્રમુખે કહ્યું કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માં ચાલી રહેલા તણાવને કારણે ભારત આવતા જહાજો અટવાયા છે.
તેમણે સરકારની પારદર્શિતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, “ભારત તરફ કેટલા જહાજો આવી રહ્યા છે તેની સાચી માહિતી કોઈની પાસે નથી. કોઈ કહે છે કે એક જહાજ આવે છે, તો કોઈ બે જહાજની વાત કરે છે. વાસ્તવિક સ્થિતિ શું છે તે સ્પષ્ટ કરવામાં સરકાર નિષ્ફળ રહી છે, જેને કારણે સામાન્ય જનતા LPG સિલિન્ડર માટે વલખાં મારી રહી છે.”
ભાજપ પર અફવા ફેલાવવાનો આરોપ
અખિલેશ યાદવે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ભાજપના નેતાઓ હંમેશા બીજા પર અફવા ફેલાવવાનો આરોપ લગાવે છે, પરંતુ હકીકતમાં સૌથી વધુ અફવાઓ ભાજપના લોકો જ ફેલાવે છે. ગેસની અછત વચ્ચે ફેલાઈ રહેલી અફવાઓ માટે તેમણે સત્તાધારી પક્ષને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર આ સમસ્યાનું સમાધાન લાવવાને બદલે માત્ર વાતો કરી રહી છે.
નફરતની રાજનીતિનો વિરોધ
સંભલ મસ્જિદ વિવાદ પર બોલતા અખિલેશ યાદવે કહ્યું કે, ભારતમાં હંમેશા તમામ ધર્મોનું સન્માન કરવામાં આવ્યું છે. ભાજપ પર સમાજને વહેંચવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ભાજપ નફરતની રાજનીતિ કરે છે જે દેશ માટે નુકસાનકારક છે. દરેક ધર્મ શાંતિનો સંદેશ આપે છે અને આપણે સૌએ સાથે મળીને રહેવું જોઈએ.

