તાજિકિસ્તાનમાં ડ્રોન હુમલો: ચીનના ૩ નાગરિકોના મોત, પાકિસ્તાને કરી નિંદા, આ દેશ પર લાગ્યો આરોપ
તાજિકિસ્તાનમાં થયેલા ડ્રોન હુમલામાં ચીનના ૩ નાગરિકોના મોત થયા છે. અધિકારીઓએ આ ઘટના વિશે માહિતી આપી છે. પાકિસ્તાને પણ આ ઘટનાની નિંદા કરી છે.
તાજિકિસ્તાનમાં થયેલા એક ડ્રોન હુમલામાં ચીનના ૩ નાગરિકોના મોત થયા છે. તાજિકિસ્તાનના અધિકારીઓએ ગુરુવારે આ અંગે માહિતી આપી હતી કે દેશના દક્ષિણી ક્ષેત્રમાં ડ્રોન હુમલો અને ગોળીબાર થયો હતો, જેમાં ચીનના ઓછામાં ઓછા ૩ નાગરિકો મૃત્યુ પામ્યા છે. આ તમામ નાગરિકો તાજિકિસ્તાનમાં શ્રમિકો તરીકે કામ કરી રહ્યા હતા. તાજિકિસ્તાનમાં થયેલા આ ડ્રોન હુમલાનો આરોપ અફઘાનિસ્તાન પર લાગ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ડ્રોન અફઘાનિસ્તાનથી તાજિકિસ્તાનની સરહદમાં ઘૂસ્યું હતું.
પાકિસ્તાને હુમલાની નિંદા કરી
તાજિકિસ્તાનમાં થયેલા ડ્રોન હુમલામાં ચીનના ૩ નાગરિકોના મોત પર પાકિસ્તાને દુઃખ વ્યક્ત કર્યું છે અને આ ઘટનાની સખત નિંદા કરી છે. પાકિસ્તાને માંગ કરી છે કે અફઘાનિસ્તાનની જમીન પર કામ કરી રહેલા આતંકવાદી સંગઠનોના સભ્યો, તેમના સહયોગીઓ અને નાણાં પૂરા પાડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે. પાકિસ્તાને કહ્યું: “અમે ચીનના નાગરિકો પર થયેલા આ કાયરતાપૂર્ણ હુમલાની સંપૂર્ણ નિંદા કરીએ છીએ. આ ઘટનામાં હથિયારોવાળા ડ્રોનના ઉપયોગે અફઘાનિસ્તાનમાંથી પેદા થતા ખતરાની ગંભીરતા અને તેની પાછળ રહેલા લોકોની હિંમતને સામે લાવી દીધી છે.”
પાકિસ્તાને દોષનો ટોપલો તાલિબાન પર ઢોળ્યો
પાકિસ્તાને તાજિકિસ્તાનમાં થયેલા ડ્રોન હુમલાનો સમગ્ર દોષ તાલિબાન પર ઢોળી દીધો છે. પાકિસ્તાને કહ્યું કે પાકિસ્તાનના લોકો પણ અફઘાનિસ્તાનની જમીન પરથી કરવામાં આવતા આતંકવાદી હુમલાનો વારંવાર ભોગ બનતા રહ્યા છે, અને તેઓ ચીન અને તાજિકિસ્તાનના દુઃખને સારી રીતે સમજે છે. પાકિસ્તાને કહ્યું: “આતંકવાદીઓ દ્વારા અફઘાનિસ્તાનની જમીનનો વારંવાર ઉપયોગ અને અફઘાન તાલિબાન શાસનના સંરક્ષણ હેઠળ આતંકવાદીઓની સતત હાજરી સમગ્ર પ્રદેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ગંભીર ચિંતાનો વિષય છે.”

