શ્રીલંકામાં ‘જળ પ્રલય’… મૂસળધાર વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 31નાં મોત, 14 લાપતા
શ્રીલંકામાં ઘણા દિવસોથી સતત વરસી રહેલા મૂસળધાર વરસાદ, પૂર અને વિનાશક ભૂસ્ખલનને કારણે મોટા પાયે તબાહી સર્જાઈ છે. આ આફતોના કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયાં છે.
શ્રીલંકામાં છેલ્લા 11 દિવસથી સતત વરસી રહેલા મૂસળધાર વરસાદ, પૂર અને વિનાશક ભૂસ્ખલનને કારણે મોટા પાયે તબાહી મચી ગઈ છે. શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC) એ ગુરુવારે જણાવ્યું કે આ કુદરતી આફતોના કારણે અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે લગભગ 4,000 લોકો પ્રભાવિત થયા છે.
સત્તાવાર માહિતી મુજબ, માત્ર મધ્ય પર્વતીય જિલ્લાઓમાં જ 18 લોકોનાં મોત થયા છે. ડેઇલી મિરર ઑનલાઇનના સમાચાર અનુસાર, એક ભયાનક ઘટનામાં, કુમ્બુક્કાનામાં પાણીનું સ્તર વધતાં એક પેસેન્જર બસ ફસાઈ ગઈ હતી, જોકે કટોકટી ટીમોએ 23 મુસાફરોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા. અડાડેરાના સમાચાર પોર્ટલે જણાવ્યું કે લગભગ 10 લોકો ઘાયલ થયા છે, જ્યારે 14 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
બગડતી પરિસ્થિતિની સમીક્ષા
રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 25 માંથી 17 વહીવટી જિલ્લાઓમાં બગડતી પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક બોલાવી છે. હવામાન બ્યુરોના જણાવ્યા અનુસાર, દેશના દક્ષિણ-પૂર્વમાં એક લો-પ્રેશર એરિયા બન્યું, જે પાછળથી ડિપ્રેશન એરિયા માં ફેરવાઈ ગયું.
બ્યુરો અનુસાર, હાલમાં તે બટ્ટીકલોઆથી 210 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. બ્યુરોએ કહ્યું, “આગામી 12 કલાકમાં તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે અને જોર પકડીને ઇન્ટેન્સ ડિપ્રેશન એરિયા માં ફેરવાય તેવી પ્રબળ સંભાવના છે.” બ્યુરોએ જણાવ્યું કે દેશના વિવિધ ભાગોમાં 200 મિલીમીટરથી વધુ વરસાદ થવાની આગાહી છે.
ગયા વર્ષે પણ આવી હતી વિનાશક પૂરની સ્થિતિ
આ પહેલાં, ઓક્ટોબર 2024 માં પણ ભારે વરસાદના કારણે રાજધાની કોલંબો અને ઉપનગરીય વિસ્તારો સહિત દેશના ઘણા ભાગોમાં પૂર આવ્યું હતું. આનાથી 1 લાખ 34 હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. કોલંબોમાં શાળાઓ બંધ કરવી પડી હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ઘરો અને દુકાનોની છત સુધી પહોંચી ગયું હતું.

