કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈ આરોગ્ય મંત્રીના મહેસાણા જિલ્લામાં જ મંદ ગતિ થી કામ ચાલતું હોવાની બુમરાણ ઉઠવા પામી છે.
મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ONGCના સહયોગથી 1500 લિટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ ક્યારે થશે તે તો આગામી સમય જ બતાવશે.
મહેસાણાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે અગાઉ તા.6 જૂને મહેસાણા સિવિલની મુલાકાત લઈ પ્રતિ મિનિટ 1500 લિટર ક્ષમતાનો ઓક્સિજન પ્લાન્ટ ફક્ત 20 દિવસમાં જ કાર્યરત થવાની જાહેરાત કરી હતી જેને કોરોના ની ત્રીજી લહેર નું આગોતરું આયોજન ગણાવી દીધું હતું પરંતુ હકીકત એ છે કે આજે 37 દિવસ બાદ પણ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થયો નથી અને હજુ 31 જુલાઈ સુધીમાં કાર્યરત થવાના કોઈ ઠેકાણા જણાતા નથી.
બીજી લહેરની ભૂલો ને લઈ જનતા ને સહન કરવાનો વારો આવ્યો હતો જેને સરકારે સુધારીને ત્રીજી લહેરમાં દર્દીઓને ઓછી તકલીફ પડે તે માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 6 જૂનના રોજ મહેસાણા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ જિલ્લામાં 7 નવા ઓક્સિજન પ્લાન્ટ નિર્માણ કરવાની જાહેરાત કરી હતી. આ 7 પ્લાન્ટ પૈકી સિવિલ હોસ્પિટલમાં રૂ.1.73 કરોડના ખર્ચે પ્રતિ મિનિટ 1500 લિટર (દૈનિક 300 બોટલ) ઓક્સિજન ઉત્પાદિત થાય તેવો પ્લાન્ટ 20 દિવસમાં કાર્યરત થશે તેવી જાહેરાત કરી દીધી હતી. જેને 37 દિવસ થવા છતાં હજુ સુધી પ્લાન્ટ કાર્યરત થયો નથી. સિવિલ કેમ્પસમાં મેન્ટલ હોસ્પિટલની બહાર ઓક્સિજન પ્લાન્ટ માટે ફાઉન્ડેશન બનાવીને વોર્ડ સુધી પાઈપ લાઈન પણ ફીટ કરી દેવાઇ છે. ઓક્સિજન પ્લાન્ટ ઓએનજીસીના સહયોગથી બનવાનો હોઇ તંત્ર ઓએનજીસી તરફ નજર રાખીને બેઠું છે.
જોકે,સ્થાનિક સૂત્રો નું કહેવું છે કે સિવિલના પ્લાન્ટ બાબતે કલેક્ટરની મંજૂરી પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ ઉપરાંત વીજલોડ સહિતની પ્રક્રિયા ચાલી રહી છે. ઓક્સિજન પ્લાન્ટના વીજ ઉપકરણો માટે હજુ ઓરડી પણ બનાવવાની કામગીરી બાકી છે. પ્લાન્ટ ઓએનજીસી આપવાની છે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઓએનજીસી પ્લાન્ટ આપશે. આ પ્લાન્ટ 31 જુલાઈ સુધી કાર્યરત થવાની આશા છે.
જોકે,ત્રીજી લહેર અગાઉ દર્દીઓ માટે આગોતરું આયોજન થાય તે જરૂરી છે નાયબ મુખ્યમંત્રી એ 20 દિવસ નો વાયદો કર્યો પણ કામ ઘણું બાકી હોય હવે પ્લાન્ટ નો લાભ દર્દીઓને ક્યારે મળશે તે તો આગામી સમય જ બતાવશે.