આજે રાજ્યમાં શાળાઓ શરૂ થવાના પ્રથમ દિવસે જ મહેસાણા જિલ્લાના સૂંઢિયા ગામમાં વહેલી સવારે જ ગામ લોકોએ ભેગા મળીને ગામની સરકારી શાળાને તાળાબંધી કરતા ભારે હોબાળો મચી ગયો હતો અને બાળકો ઘરભેગા થયા હતા.
ગ્રામજનોનો આક્ષેપ છે કે આચાર્યના અણઘડ વહીવટને લઈ શાળામાં સુવિધા નથી અને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરાઇ રહ્યો છે અહીંના લોકો આચાર્યની બદલીની માંગ કરી રહ્યા છે.
મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર નજીકના સુંઢિયા ગામમાં આવેલી અનુપમ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આચાર્ય રાજેન્દ્ર લવજીભાઈ ચૌધરીની બદલીની માંગ સાથે આજે વહેલી સવારે ગામ લોકોએ શાળાને તાળા મારી દીધા હતા. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે શાળાનું શિક્ષણ ખાડે ગયું છે અને A ગ્રેડમાં ચાલતી શાળા c ગ્રેડમાં આવી ગઈ છે. આચાર્ય દ્વારા સરકારમાંથી આવતી ગ્રાન્ટનો મોટા પ્રમાણમાં દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
આચાર્ય રાજેન્દ્ર ચૌધરી છેલ્લા 9 વર્ષથી શાળામાં ફરજ બજાવે છે તેઓ વિકાસ માટે આવતી ગ્રાન્ટો ખોટા બીલો બનાવી બરોબર વાપરી નાખવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો હતો.