મોરબી તાલુકાના આમરણ ગામ નજીકથી પસાર થતો ધોરીમાર્ગ ફોરલેન બનાવવાને મંજુરી મળી હોય જે નેશનલ હાઈવે બનાવવા સામે આમરણ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે જે અંગે આજે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું છે.
આમરણ ગ્રામ પંચાયતના નેજા હેઠળ આજે આમરણ અને ડાયમંડનગરના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે આમરણ ગામમાં બાયપાસ કાઢવામાં આવશે તો ચોમાસામાં બધું પાણી આમરણના ઇન્દિરા આવાસ, ટાટાનગર, ડાયમંડનગર ગામ આખું પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિ પેદા થશે વર્ષ ૨૦૧૭ માં ડેમી નદીના પાટિયા ખોલવાથી આ વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને ૪૦૦ લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી તે ઉપરાંત આમરણ ગામે બાયપાસ નીકળે તો જ્યાંથી બાયપાસ કાઢવાનું દર્શાવાયું છે ત્યાં વરસાદી પાણીનો નિકાલ છે હાલ ત્યાં રોડ નથી તો પણ ગામમાં અને ઘરોમાં પાણી ઘુસી જાય છે. અને બાયપાસ કાઢવામાં આવે તો આમરણ ઉપરાંત અન્ય વિસ્તારના ૨૫૦૦ લોકોને મકાનનું સ્થળાંતર કરવું પડે તેવી પરીસ્થિતિ પેદા થશે. આમરણ ગામમાં જે ભાદરા પાટિયાથી પીપળીયા હયાત રોડ છે તેણે ફોરલેન બનાવવામાં આવે તો કોઈ જાતનો વાંધો નથી તેમજ હયાત રોડની બંને સાઈડમાં સરકારી ખરાબો અને ગામતળની જમીન આવેલ છે જેથી કોઈને નુકશાની નથી આમ આમરણ મેલડી માતાના મંદિરથી ખારચિયા ગામ સુધી બાયપાસ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને હાલ જે હયાત માર્ગ છે ત્યાં ફોરલેન બનાવવામાં આવે તેવી માંગ કરી હતી આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ મામલે પ્રાંત અધિકારી ખાચરે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈવે મંજુર કર્યો છે જેમાં આમરણ, ડાયમંડનગર ઉપરાંત બેલા સહિતના ગામોમાં જમીન સંપાદન કરવાની કામગીર ચાલતી હોય જેમાં આમરણ અને ડાયમંડનગરના લોકો દ્વારા બાયપાસનો વિરોધ કરવામાં આવ્યો છે જે વાંધા અરજી નેશનલ હાઇવે ઓથોરીટીને મોકલવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.