મોરબી : થેલેસેમિયાગ્રસ્ત લોકો માટે સામાન્ય જીવન જીવવું કપરું હોય છે. લોહી ન મળે તો તેઓનું જીવન જોખમમાં મુકાઈ છે. ત્યારે મોરબીના એક પિતા પોતાના પુત્રની સ્મૃતિમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પુરૂ પાડવા માટે છેલ્લા સાત વર્ષથી રક્તદાન કેમ્પ કરે છે. અત્યાર સુધીમાં તેઓએ ૮૦૦ બોટલ રક્ત એકત્ર કર્યું છે.
મોરબીના શનાળા રોડ પર આવેલા ચિત્રાનગર સોસાયટીમાં રહેતા વિક્રમભાઈ બળવંતભાઈ દફ્તરી (ઉ.વ.૫૧) થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે. તેમના બે પુત્રમાંથી સૌથી મોટો પુત્ર કાર્તિક થેલેસેમિયાગ્રસ્ત હતો. દર ૧૫ દિવસે તેમના પુત્રને લોહીની જરૂર પડતી હતી. એવામાં ગત તા.૧૧ /૦૬/૨૦૧૧ના રોજ કાર્તિકનું અકસ્માતમાં નિધન થયું હતું. પુત્રની અણધારી વિદાયથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.
પોતાના પુત્રની જેમ અન્ય થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહીની માટે મુશ્કેલી ન પડે તે માટે પુત્રની સ્મૃતિમાં તેઓ છેલ્લા ૭ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. તેઓ દર વર્ષે પુત્રની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજી જરૂરિયાતમંદ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને લોહી પૂરું પાડે છે. અત્યાર સુધીમાં તેઓએ રક્તદાન કેમ્પમાંથી ૮૦૦ બોટલ રક્ત એકત્ર કર્યું છે.
આ અંગે વિક્રમભાઈ દફ્તરીએ જણાવ્યું કે તેઓનો પુત્ર કાર્તિક થેલેસેમિયાગ્રસ્ત હતો. તેનું નિધન થયા બાદ દર વર્ષે તેની પુણ્યતિથિએ રક્તદાન કેમ્પ યોજી થેલેસેમિયાગ્રસ્ત બાળકોની લોહીની જરૂરિયાત પૂર્ણ કરીને તેને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.