હાલ દેશમાં વિવિધ સ્થળોએ વધી રહેલા બળાત્કારના બનાવોથી લોકોમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે આવા બનાવો અંગે કડક સજા થાય અને બળાત્કાર કરનારને ફાંસીની સજા કરવાની માંગ સાથે આજે રેલી યોજી આવેદન પાઠવવામાં આવ્યું હતું.
મોરબીમાં સ્વયં સૈનિક દળ દ્વારા આજે ગાંધી ચોકથી બાઈક રેલી યોજવામાં આવી હતી જે રેલી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને કલેકટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી જ્યાં જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે હાલ ભારતમાં સ્ત્રીઓ પર અમાનુષી અત્યાચાર થઇ રહ્યા છે અને નરાધમો દ્વારા નાની બાળકીઓ પર બળાત્કાર ગુજારવાની ઘટનાઓ બની રહી છે ત્યારે આરોપીઓને પકડવા અને સજા કરવા લોકોએ રસ્તા પર ઉતરવું પડી રહ્યું છે અને કાયદાનો ડર ખત્મ થઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે હાલ જમ્મુના કઠુંઆમાં આઠ વર્ષની બાળકી સાથે, સુરતમાં ૧૦ વર્ષની બાળકી અને રાજકોટમાં ૯ વર્ષની બાળકી તેમજ ઉત્તરપ્રદેશમાં બીજેપીના ધારાસભ્ય દ્વારા બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે સ્ત્રીઓનું શોષણ અટકે અને બળાત્કારીઓને ફાંસીની સજા થાય તેવો કાયદો સંસદમાં બનાવ્વવામાં આવે અને તેનો ત્વરિત અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે.
વધુમાં આવેદન પત્ર સાથે કેટલીક માંગણીઓ કરવામાં આવી છે જેમાં બળાત્કારીઓને ફાંસીની સજા કરવામાં આવે, સ્ત્રી ઉત્પીડન કેસો માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાય, સ્ત્રી ઉત્પીડન કેસોમાં ત્રણ મહિનામાં ટ્રાયલ પૂર્ણ થાય, ભારતના તમામ ગામડાઓમાં મહિલા પોલીસ સ્ટેશન ચાલુ થાય અને સ્ત્રી ઉત્પીડન કાયદાઓ કડક કરવામાં આવે તેવી માંગ પણ સ્વયં સૈનિક દળ દ્વારા કરવામાં આવી છે.