મોરબીએ ઔધોગિકનગરી તરીકે વિકાસ પામી છે ત્યારે વધતી વાહનોની સંખ્યા સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે ત્યારે મોરબીની એક સિરામિક ફેકટરી એ કર્મચારીઓની સુરક્ષા માટે પ્રેરનાદાયી નિર્ણય લીધો છે જેમાં કર્મચારીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા છે તેમજ હેલ્મેટ ફરજીયાત પહેરવાનો નિયમ બનાવ્યો છે.
મોરબીના ઉંચી માંડલ નજીક આવેલા ક્રેએન્ઝા સિરામિક પ્રાઈવેટ લીમીટેડ નામની ફેક્ટરીએ આવકારદાયક નિર્ણય કર્યો છે.અકસ્માતોની વધતી સંખ્યાથી ચિંતિત કંપનીના સંચાલકોએ દરેક કર્મચારી માટે હેલ્મેટ પહેરવું ફરજીયાત બનાવ્યું છે. અગાઉ ફેકટરીના બે કર્મચારીઓને અકસ્માત નડ્યા હોય જેથી હાઈવે પર કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે જેમાં ફેકટરીના સંચાલક દેવેનભાઈ સેરશીયા, દયારામભાઈ સોરીયા, હિતેશભાઈ અમૃતિયા તેમજ ભાવિકભાઈ માકડિયા, મિતેશભાઈ જાકાસણીયા, જયેશભાઈ પટેલ, રજતભાઈ સોરીયા, રમેશભાઈ ભાડજા અને જયેશભાઈ વરમોરા સહિતનાઓ દ્વારા કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત બનાવાયું છે
તાજેતરમાં ફેકટરીના ઓફીસ ઉપરાંત પ્લાન્ટમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ૪૫ કર્મચારીઓને આઈએસઆઈ માર્કવાળા હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા છે. અને દરેક કર્મચારી ફરજીયાત હેલ્મેટ પહેરીને જ મુસાફરી કરે તેવો નિયમ બનાવાયો છે જેથી અકસ્માતો જેવા બનાવોમાં કર્મચારીઓની સુરક્ષા જળવાઈ રહે ત્યારે સિરામિક ફેકટરીના સંચાલકોના આ નિર્ણયને સૌ કોઈ આવકારી રહ્યા છે અને દરેક ફેક્ટરી માટે પ્રેરણારૂપ બની રહેશે.
હેલ્મેટ વિતરણ બાદ કોઈ કર્મચારી હેલ્મેટ પહેરીને ના આવે તો તે દિવસનો પગાર કપાઈ જશે અને હેલ્મેટ વિના ફેકટરીમાં એન્ટ્રી જ પ્રતિબંધિત કરવામાં આવશે જેથી દરેક કર્મચારી જાગૃત બને અને અન્યને પણ જાગૃત બનાવે તેવી પહેલ કરવામાં આવી છે.