સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા નર્મદા જિલ્લામાં ભાડુઆત નોંધણી અંગે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડ દ્વારા સુરક્ષાના હેતુસર એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર જિલ્લામાં મકાન, ફ્લેટ, દુકાન કે ગોડાઉન જેવી મિલકતો ભાડે આપતા માલિકોએ ભાડુઆતની સંપૂર્ણ વિગતો નક્કી કરેલા ફોર્મમાં ભરીને સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી પડશે. ખાસ કરીને બહારના રાજ્ય કે જિલ્લામાંથી આવતા મજૂરો, કારીગરો અને વ્યાવસાયિકોને રોજગારી કે રહેઠાણ આપતા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક છે. આ જાહેરનામાની અમલવારી આગામી ૩ માર્ચ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે જેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભાડુઆતની વિગતો અને જરૂરી દસ્તાવેજોની યાદી
મિલકત માલિકોએ નિયત નમૂનાના ફોર્મમાં ભાડુઆતનું નામ, વતનનું સરનામું, વ્યવસાયની વિગત અને મોબાઈલ નંબર જેવી માહિતી આપવાની રહેશે. ભાડુઆતે પુરાવા તરીકે પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ અથવા ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે. જો ભાડુઆત અન્ય રાજ્યનો હોય તો ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ભાડા કરારની નોટરી કરેલી નકલ આપવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત સિંગલ યુવક-યુવતીઓને મકાન ભાડે આપતી વખતે તેમના વાલીનું સંમતિપત્ર મેળવવું પણ અનિવાર્ય છે જેથી કોઈપણ અઘટિત ઘટના સમયે જવાબદારી નક્કી કરી શકાય.
પોલીસ સ્ટેશનમાં રૂબરૂ હાજરી અને સહી-સિક્કાની પ્રક્રિયા
ભાડાના ફોર્મની બે નકલ તૈયાર કરીને મિલકત માલિક અને ભાડુઆતે સાંજે ૬:૦૦ થી ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન પોલીસ સ્ટેશનમાં હાજર રહેવું પડશે. પોલીસ અધિકારીની રૂબરૂમાં જ બંને પક્ષોએ સહી અને અંગૂઠાના નિશાન કરવાના રહેશે. પોલીસ સ્ટેશન દ્વારા એક નકલ પર સહી-સિક્કા કરી પરત આપવામાં આવશે જેને માલિકે સાચવી રાખવાની રહેશે. જ્યારે ભાડુઆત મિલકત ખાલી કરે ત્યારે તેની જાણ પણ પોલીસને લેખિતમાં કરવી જરૂરી છે. આ પ્રક્રિયામાં સાક્ષી અથવા એજન્ટની વિગતો પણ નોંધવાની રહેશે જેથી પારદર્શિતા જળવાઈ રહે.
સુરક્ષા વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્રનો કડક આદેશ
આ જાહેરનામાનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ગુનાખોરી અટકાવવાનો અને અસામાજિક તત્વો પર નજર રાખવાનો છે. મિલકત માલિકોને પોતાની મિલકતનો કબજો સોંપતા પહેલા ભાડુઆતની જાત તપાસ કરવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. જે મકાનોમાં અગાઉથી જ ભાડુઆતો રહેતા હોય તેમના કિસ્સામાં પણ આ ફોર્મ ભરવાની જવાબદારી ભાડુઆત અને માલિકની રહેશે. પોલીસ વિભાગ દ્વારા વખતોવખત આ બાબતે તપાસ હાથ ધરવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે.

