નવસારી નજીક આવેલા બીલીમોરાના દેવસર માર્કેટ રોડ પર આવેલ હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં 15 દિવસ અગાઉ એમોનિયા ગેસ ગળતર થતાં તંત્રએ ફેક્ટરીને સીલ મારી દીધા બાદ સીલ કરેલી આ ફેક્ટરીમાં ફરી ગેસ ગળતર થતાં ભારે દોડધામ મચી જવા પામી હતી.
વિગતો મુજબ 15 દિવસ અગાઉ દેવસરની હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ રિટર્ન વાલ્વમાંથી લીકેજ થતા આસપાસના વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે ગળતરને હાલ સમારકામ કરી દેવામાં આવ્યા બાદ ફરી ગેસ ગળતર થતા મામલતદાર અને સરપંચ સહિત ફાયર ટીમ ઘટનાસ્થળે ધસી ગયા હતા.
મોડી રાત્રે ફેક્ટરી બંધ હોવા છતાં તાપમાનની અસરના કારણે એમોનિયા ગેસનું ગળતર રિટર્ન વાલ્વમાંથી શરૂ થતા આસપાસનાવિસ્તારમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને નજીકમાં આવેલા રહેણાંક વિસ્તાર વિશાલ અને કુબેર એપાર્ટમેન્ટના રહીશો દ્વારા ગેસ ગળતર અંગે ફરિયાદ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતુ અને તપાસ કરતા એમોનિયા ગેસનો રિટર્ન વાલ્વની ગ્લેન્ડમાંથી તાપમાન વધવાને કારણે ગેસ ગળતર થયુ હોવાનું તારણ કાઢવામાં આવ્યું હતું. ફેક્ટરીના માલિકે ત્યાં ઉપસ્થિત તાલુકા મામલતદાર ચૌધરીને સીલ ખોલવા જણાવીલાઈનમાં અને ટાંકીમાં બાકી રહેલ એમોનિયા ગેસને અન્ય સાધનોમાં શિફ્ટ કરીને તેનો નિકાલ કરવા પોતાને કામગીરી કરવા વિનંતી કરી હતી પણ મામલતદાર ચૌધરીએ રાત્રે સીલ ખોલવાની કાર્યવાહી કરવાનો ઈન્કાર કરતા બીજા દિવસે બપોર બાદ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, ફાયરના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં મામલતદાર જગદીશ ચૌધરીએ સીલને ખોલી જ્યાંથી ગેસ ગળતર થયું હતું ત્યાં અને લીકેજ વાલ્વ રિપેર કરવામાં આવતા ગેસ ગળતર બંધ થયું હતું.
જોકે ગળતર પ્રક્રિયા ધીમી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જો મોટું ગળતર હોત અને સીલ તોડી તાત્કાલિક રીપેર કાર્યવાહી થઈ ન હોત તો લોકો માટે મોટી આફત બની શકે તેમ હોવાનું લોકોમાં ચર્ચાતું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરાના સરદાર માર્કેટ પાસે આવેલી હરિસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બની હતી અને ગેસ લીકેજની ઘટનાના કારણે 40થી વધુ લોકોને ઝેરી ગેસની અસર થઈ હતી. એક વ્યકિતનો શ્વાસ રૂંધાવા લાગતા તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેજવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયરની ટીમે ભારે જહેમત બાદ સ્થિતિ કાબૂમાં લીધી હતી ત્યાંજ ફરી સીલ મારેલી ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં લોકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે.