નેપાળમાં હિમનદી ફાટતાં અને ભૂકંપના આંચકા બાદ ભોટેકોશી નદીમાં ભયાનક પૂર, બિહાર અને યુપી પર તોળાતો ખતરો
ઉત્તરી નેપાળના રાસુવા જિલ્લામાં તિબેટ સરહદ નજીક આવેલી ભોટેકોશી નદીમાં અચાનક આવેલ ભયાનક પૂરે દાયકાઓ પછી અભૂતપૂર્વ તબાહી મચાવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં ૧૯ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ૧૦૫ ભારતીય નાગરિકો સહિત આશરે ૩૮૪ પ્રવાસીઓ ગુમ હોવાના અહેવાલ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નેપાળ સરકારે આગામી ત્રણ મહિના માટે અસરગ્રસ્ત વિસ્તારોને ‘આપત્તિગ્રસ્ત વિસ્તાર’ જાહેર કર્યા છે. બીજી તરફ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન બાલેન શાહ સાથે વાતચીત કરીને માનવતાવાદી ધોરણે તમામ શક્ય સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.
ભૂકંપ અને હિમનદી ફાટવાથી સર્જાઈ આપત્તિ
આ દુર્ઘટના પાછળના કારણો અંગે કાઠમંડુ યુનિવર્સિટીના આબોહવા સંશોધકોએ જણાવ્યું હતું કે, તિબેટના ઊંચા પર્વતોમાંથી નીકળતી લહેન્ડે નદીના ઉપરી ભાગમાં બરફનો પહાડ (હિમનદી) તૂટી પડતાં નદીનો પ્રવાહ રોકાઈ ગયો હતો. ત્યારબાદ તીવ્ર દબાણ હેઠળ આ બંધ અચાનક તૂટતાં ભયાનક પૂર આવ્યું હતું. તે જ સમયે તિબેટ ક્ષેત્રમાં ૪.૪ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેણે આ ઘટનાને વધુ ગંભીર બનાવી હતી. સેટેલાઇટ ઈમેજો પણ દર્શાવે છે કે નેપાળ-ચીન સરહદ નજીક વિશાળ ભૂસ્ખલન થયું હતું.
નેપાળમાં રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં
નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ (APF) અને સ્થાનિક પોલીસ દ્વારા મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. શોધખોળ માટે ૧૪ હેલિકોપ્ટરો તૈનાત કરવામાં આવ્યા છે અને બુધવાર સુધીમાં ૨૫ થી વધુ લોકોને સુરક્ષિત ઉગારી લેવાયા છે. જોકે, રાસુવા કસ્ટમ્સ ઓફિસના ૧૪ કર્મચારીઓ અને સરહદી ચોકી પરના ૪ સશસ્ત્ર જવાનો હજુ પણ સંપર્કવિહોણા છે. પૂરના પ્રચંડ પ્રવાહમાં રસ્તાઓ, પુલો અને નુવાકોટના ત્રિશુલી બજાર નજીકના આશરે ૬૦ જેટલા મકાનો તણાઈ ગયા છે. વડાપ્રધાન બાલેન શાહે અસરગ્રસ્ત વિસ્તારોના સાંસદો સાથે બેઠક યોજી રાહત કાર્યો ઝડપી બનાવવાની સાથે ઘાયલોને મફત સારવાર અને પીડિત પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી હેલ્પલાઈન જાહેર
નેપાળ પ્રવાસન વિભાગના અહેવાલ મુજબ ગુમ થયેલા ૩૮૪ મુસાફરોમાં ૧૦૫ ભારતીય નાગરિકો ઉપરાંત યુ.એસ., યુ.કે., મલેશિયા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. કાઠમંડુ સ્થિત ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનો માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો +૯૭૭-૯૮૫૧૩૧૬૮૦૭ અને +૯૭૭-૯૭૦૯૧૦૭૫૦૦ જારી કર્યા છે. તદુપરાંત, નેપાળી સત્તાવાળાઓએ પ્રવાસીઓ માટે ટોલ-ફ્રી નંબર ૧૨૩૪ અને હોટલાઇન ૧૧૪૪ કાર્યરત કરી છે.
બિહાર અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ
નેપાળમાંથી ગંડક અને નારાયણી નદીઓમાં પાણીનો ભયાનક પ્રવાહ છોડાવાની શક્યતાને પગલે ભારતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર અને વૈશાલી સહિત ૬ જિલ્લાઓમાં એલર્ટ જારી કર્યું છે. તટબંધો પર ૨૪ કલાક પેટ્રોલિંગ કરવા અને સંવેદનશીલ વિસ્તારોમાં NDRF તથા SDRF ની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના સરહદી જિલ્લાઓ જેવા કે મહારાજગંજ અને કુશીનગરમાં પણ તકેદારી વધારી દેવાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિહારના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક ચર્ચા કરીને કેન્દ્ર સરકાર તરફથી કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તમામ જરૂરી મદદની ખાતરી આપી છે.
