લોકસભામાં પુસ્તકોને લઈને હોબાળો: ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને વિપક્ષી સાંસદો વચ્ચે જોરદાર દલીલો
લોકસભાનું બજેટ સત્ર બુધવારે પુસ્તકોના વિવાદને લઈને રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કોંગ્રેસના નેતાઓ સાથે જોડાયેલા કેટલાક વિવાદાસ્પદ પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં નહેરુ પરિવાર અને એડવિના સંબંધિત વિગતો હતી. તેમના આ નિવેદન બાદ વિપક્ષી સાંસદોએ ભારે હોબાળો શરૂ કર્યો હતો, જેને પગલે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
નિશિકાંત દુબેએ શું કહ્યું?
નિશિકાંત દુબેએ આક્ષેપ કર્યો હતો કે આ પુસ્તકો નહેરુ પરિવારની વિવાદાસ્પદ બાબતોથી ભરેલા છે. તેમણે એડવિના અને નહેરુના પુસ્તકો સિવાય અન્ય અનેક પુસ્તકોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જ્યારે તેઓ ગૃહમાં બોલી રહ્યા હતા, ત્યારે સ્પીકર ઓમ બિરલાએ તેમને વારંવાર અટકાવ્યા હતા, પરંતુ નિશિકાંત દુબેએ પોતાની વાત ચાલુ રાખી હતી. બીજી તરફ વિપક્ષી સાંસદો સતત સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. અંતે, સ્પીકરે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી અને સત્તાધારી પક્ષ તેમજ વિપક્ષી સાંસદોને ચર્ચા માટે બોલાવ્યા હતા.
વિપક્ષી સાંસદોના આક્ષેપો
કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષોના સાંસદોએ વાંધો ઉઠાવ્યો હતો કે જ્યારે રાહુલ ગાંધીને પુસ્તકનો હવાલો આપવાની મનાઈ કરવામાં આવી, તો નિશિકાંત દુબેને આ અધિકાર કેવી રીતે મળ્યો? વિપક્ષે કહ્યું કે આ સંસદની મર્યાદા અને નિષ્પક્ષતાની વિરુદ્ધ છે.
ગૃહની કાર્યવાહી અગાઉ પણ અનેકવાર સ્થગિત
બુધવારે સંસદમાં અગાઉ પણ હોબાળો થયો હતો. પૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેના અપ્રકાશિત પુસ્તક સાથે જોડાયેલા મુદ્દાઓ, વિપક્ષના આઠ સભ્યોના સસ્પેન્શન અને અન્ય વિવાદોને કારણે કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સભ્યોનું મર્યાદિત વર્તન અને ગૃહની પરંપરાઓનું પાલન કરવું અનિવાર્ય છે. તેમણે વિપક્ષી સાંસદોને અવાજ બંધ કરવાની ચેતવણી આપી હતી, પરંતુ હોબાળો ચાલુ રહેતા બેઠકને બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ, જેમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ભારત-અમેરિકા વેપાર કરાર પર વક્તવ્ય વાંચ્યું હતું, જ્યારે વિપક્ષી સભ્યો સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા.
સ્પીકરનું કડક વલણ
ઓમ બિરલાએ વિપક્ષી સાંસદો પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “આ દેશમાં તમે અલગ-અલગ સમયે સરકારમાં રહ્યા છો, છતાં તમે ગૃહની પરંપરાઓ અને મર્યાદાઓ તોડી રહ્યા છો. ગૃહની અંદર આ પ્રકારનો શોરબકોર ન થવો જોઈએ.”

